મોદી મંત્રીમંડળમાં ફેરબદલનો તખતો તૈયાર થઇ રહ્યાો છે

Friday 03rd July 2026 05:43 EDT
 
 

નવી દિલ્હીઃ મોદી સરકારના મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરબદલનો તખતો ગોઠવાઇ રહ્યો હોવાના અહેવાલે લોકોમાં ઉત્સુક્તા વધારી છે. આગામી 21 જુલાઇ આસપાસ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઇ શકે છે, અને આ સત્ર પહેલા જ મોદી સરકાર મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરી નાંખે તેવી શક્યતા છે. કેટલાક કેબિનેટ મંત્રીઓને ભાજપમાં સંગઠનની જવાબદારી સોંપવામાં આવશે અને તેમના સ્થાને યુવા નેતાઓને મંત્રી બનાવવામાં આવી શકે છે. આગામી બેથી ત્રણ દિવસમાં જ મહત્વની બેઠક મળશે જેમાં આ નિર્ણયો લેવામાં આવશે તેવા અહેવાલો છે.
જે નેતાઓ પાસેથી તેમનું વર્તમાન મંત્રાલય લઇ લેવામાં આવી શકે છે તેમાં નાણામંત્રી નિર્મલા સિતારામન, શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને હાઇવે ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકરીનો સમાવેશ થઇ શકે છે.
‘નીટ’-યુજી પરીક્ષાના પેપર લીકને લઇને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પ્રચંડ બની છે. આ સંજોગોમાં ધર્મેન્દ્ર પ્રધાન પાસેથી શિક્ષણ મંત્રાલય લઇ લેવાય તેવી શક્યતા છે. તો મોદી સરકારની અમુક નીતિઓ સામે ખુલીને વાતો કરનારા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનું મંત્રાલય બદલાઇ શકે છે. જ્યારે નિર્મલા સિતારામનના સ્થાને અન્યને નાણાં મંત્રાલય સોંપાઇ શકે છે.
છ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી
આગામી વર્ષે પંજાબ, ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, મણિપુર અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, એવામાં પંજાબને મંત્રીમંડળમાં વિશેષ ધ્યાનમાં રાખવામાં આવી શકે છે. હાલમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી છે તેમના સ્થાને પંજાબના અન્ય કોઇ કદ્દાવર શીખને મંત્રી બનાવવામાં આવી શકે છે. આ યાદીમાં સૌથી ચર્ચાસ્પદ નામ ‘આપ’માંથી ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું છે જેઓ હાલ પંજાબમાં સક્રિય છે અને પોતાની પૂર્વ પાર્ટી ‘આપ’ની ભગવંત માન સરકારની આકરી ટીકા કરી રહ્યા છે.
પૂર્વ રિઝર્વ બેન્ક ગવર્નર સરકારમાં?
અન્ય એક મોટો ફેરફાર પક્ષ કે રાજકારણ બહારની વ્યક્તિને સરકારમાં સામેલ કરવાનો હોઇ શકે છે. જેમાં રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાના (આરબીઆઇ)ના પૂર્વ ગવર્નર અને હાલમાં પીએમ મોદીના મુખ્ય સચિવ શક્તિકાંત દાસનો સમાવેશ થઇ શકે છે. તેમને કેબિનેટમાં કોઇ મોટું સ્થાન આપવામાં આવી શકે છે. આર્થિક બાબતે તેમનું યોગદાન જોઇને નાણા મંત્રાલય આપવામાં આવી શકે છે. આ ઉપરાંત સહયોગી પક્ષો જેમ કે જનતા દળ(યુ)માંથી બિહારના પૂર્વ મુખ્યપ્રધાન નિતીશ કુમાર, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે, મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસને છોડનારા સુખેન્દુ શેખર રાય જેવા બળવાખોર નેતાઓને પણ મહત્વ આપવામાં આવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter