નવી દિલ્હીઃ જમ્મુના કઠુઆમાં આઠ વર્ષની બાળકી આસિફા પર ગેંગરેપ અને હત્યાના મામલામાં લાંબો સમય મૌન જાળવી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતાં પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે ૧૮મી એપ્રિલે જણાવ્યું હતું કે, મોદી હંમેશાં મને સલાહ આપતા રહ્યા છે કે મારે મૌનમોહન ન બનવું જોઈએ. હવે હું તેમને કહું છું કે તેઓ તેમની પોતાની સલાહને પાળે, અનુસરે અને દેશમાં બળાત્કાર જેવા દૂષણો સામે ચૂપ ન રહે.
મીડિયાને આપેલી એક મુલાકાતમાં મનમોહનસિંહે જણાવ્યું હતું કે, મને એ વાતની ખુશી છે કે વડા પ્રધાન મોદીએ આખરે તેમનું મૌન તોડયું તો ખરું. બાબાસાહેબની જન્મજયંતીના અવસરે ઉલ્લેખનીય છે કે મોદીએ જણાવ્યું હતું કે, ભારતની દીકરીઓને ન્યાય મળશે અને દોષિતોને છોડાશે નહીં. યુપીએ સરકારના શાસનના છેલ્લા મહિનાઓ દરમિયાન મનમોહનસિંહ અનેક મુદ્દાઓ પર મૌન સેવતા હતા તેના કારણે ભાજપ તેમને ટોણો મારતાં મૌનમોહનસિંહ કહેતા હતા. તે અંગેના સવાલના જવાબમાં મનમોહને જણાવ્યું હતું કે, હું આખી જિંદગી આ પ્રકારના ટોણાં સાંભળતો આવ્યો છું. પરંતુ મને લાગે છે કે પીએમ મોદીએ તેઓ મને જે સલાહ આપતાં હતાં તેને અનુસરવું જોઈએ.