નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ અને બિહારની લોકસભાની પેટાચૂંટણીમાં ઊંધા માથે પછડાયા બાદ ભાજપને વધુ એક મોટો ફટકો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વાયએસઆર કોંગ્રેસે લોઢું ગરમ જોઈને હથોડો મારવાની તૈયારી કરી લીધી છે. એનડીએને ભીંસમાં લાવવા માટે વાયએસઆર કોંગ્રેસે ૧૫મી માર્ચે મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી લીધી છે. પાર્ટીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં પક્ષના સાંસદોએ લોકસભામાં સંબંધિત વ્યક્તિઓને નોટિસ પાઠવી હતી અને તેમને મંજૂરી મળી ગઈ હતી. બીજી તરફ આંધ્ર પ્રદેશને સ્પેશિયલ સ્ટેટસ મેળવવા મેદાને પડેલા ચંદ્રાબાબુ નાયડુએ વાયએસઆરને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.