નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસના ‘બંગાળમાં બારાતુઓ’નાં શબ્દપ્રયોગ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૫ ડિસેમ્બરે પશ્ચિમ બંગાળનાં શાંતિ નિકેતન ખાતે વિશ્વ ભારતી યુનિવર્સિટીનાં શતાબ્દી સમારોહમાં બોલતાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના ગુજરાત સંબંધનું સ્મરણ કરાવ્યું હતું.
મુખ્ય પ્રધાન મમતા બેનરજીથી માંડીને તેમના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે ભાજપને પરોક્ષ ટોણો મારતા કહ્યું હતું કે, ‘બહારી’ દ્વારા પશ્ચિમ બંગાળને ગુજરાત બનવા નહીં દેવાય. આવી ટિપ્પણીનાં એક દિવસ બાદ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વૈવિધ્યતામાં એકતા’નો મંત્ર યાદ અપાવતા જણાવ્યું હતું કે, રવિન્દ્રનાથ ટાગોર કેવી રીતે ગુજરાત સાથે જોડાયેલા હતા. આ દરમ્યાન મોદીએ આત્મનિર્ભર ભારતનો ગુરુદેવનાં દૃષ્ટિકોણનો સાર પણ બતાવ્યો હતો.
યુનિવર્સિટીની શતાબ્દી ઉજવણીને વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી સંબોધતાં મોદીએ કહ્યું કે, ‘જ્યારે જ્યારે હું રવિન્દ્રનાથ ટાગોર વિશે વાત કરું છું, ત્યારે હું તેમનાં ગુજરાત જોડાણ વિશે કહેવાનું રોકી શકતો નથી. આજે ફરીથી હું તમને બધાને ટાગોર અને ગુજરાતની આત્મીયતાની યાદ અપાવવા માગું છું. આપણે તેમને યાદ કરવા જોઇએ કારણ કે, તેઓ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો મંત્ર શીખવે છે, જે શીખવે છે કે, અલગ અલગ ભાષા, ખાન-પાન, પહેરવેશ છતાં કેટલું બધું એકબીજા સાથે જોડાયેલું છે. એ શીખવે છે કે, આપણી વિવિધ સંસ્કૃતિ છતાં આપણે એક છીએ, એકબીજાથી જોડાયેલા છીએ. આ બાબત આપણને ભાઇચારો શીખવે છે.’
ગુરુદેવના મોટા ભાઇ સત્યેન્દ્રનાથ ટાગોરની અમદાવાદમાં ઇન્ડિયન સિવિલ સર્વિસ (આઇસીએસ) અધિકારી તરીકે નિમણુક થઇ હતી. એ પછી રવિન્દ્રનાથ ટાગોર વારંવાર ગુજરાત આવતા હતા. રોકાણ દરમ્યાન તેમણે બે બંગાળી કવિતા પણ લખી હતી.
સંબોધનમાં તેમણે કહ્યું હતું કે ડાબા ખભ્ભા ઉપર સાડીનો પલ્લૂ રાખવાનું ચલણ ટાગોર પરિવારના વહુ જ્ઞાનનંદિની દેવી (૧૮૬૩માં ભારતીય સિવિલ સર્વિસીસમાં જનાર પહેલા ભારતીય મહિલા)એ શરૂ કર્યો હતો. તેમણે મહિલા સશક્તિકરણ સંગઠનોને આ મામલે વધુ રિસર્ચ કરવા કહ્યું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પારંપરીક રીતે મહિલાઓ સાડીનો છેડો જમણાં ખભ્ભા પર રાખે છે.