નવી દિલ્હીઃ માઓવાદીઓ દ્વારા હત્યાના ષડયંત્રના અહેવાલોને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સલામતી વધુ મજબૂત કરાશે તેમ ગૃહ મંત્રાલયે ૧૧મીએ જણાવ્યું છે. વિપક્ષોએ આ અહેવાલોને માત્ર ‘તરકટ' ગણાવ્યું છે તેની વચ્ચે ગૃહ પ્રધાન રાજનાથ સિંહે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત દોવાલ, કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબા અને ડીઆઇબી રાજીવ જૈન સાથે બેઠક યોજીને વડા પ્રધાનના જીવન સામે જોખમ અંગે મળેલા ઇન્પુટ્સને પગલે તેમની સલામતીની સમીક્ષા કરી હતી. ગૃહ મંત્રાલયે વડા પ્રધાન માટે સલામતીની વ્યવસ્થાને યોગ્ય રીતે મજબૂત કરવા માટે અન્ય સંસ્થાઓ સાથે મસલત કરીને તમામ જરૂરી પગલાં લેવાની સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયને મહારાષ્ટ્ર પોલીસ તરફથી એક રિપોર્ટ મળ્યો હતો. જેમાં માઓવાદી સંગઠનો સાથે લિંક ધરાવતાં વ્યક્તિઓ વચ્ચે સંદેશાવ્યવહાર થયાનો ઉલ્લેખ હતો.