મોદીનું દેશને સંબોધન: લોકડાઉન ભલે ગયું, પણ કોરોના તો છે જ, તહેવારોમાં વિશેષ સાવધાની રાખો

Tuesday 20th October 2020 16:15 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે ૬:૦૦ વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. કોરોના કાળમાં મોદીનું આ સાતમું સંબોધન હતું. કોરોના કાળનું આ મોદીનું સૌથી ટૂંકું સંબોધન હતું. આ સંબોધન ૧૨.૨૬ મિનિટનું હતું. આ અગાઉ તેમણે ૩૦મી જૂને ૧૭ મિનિટનું સંબોધન કર્યું હતું.
આ વખતના સંબોધનમાં તેમણે કબીરના દુહાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પાકિ ખેતી દેખકર, ગર્વ કિયા કિસાન અજહુ ઝોલા (સંકટ) બહુત હૈ, ઘર આવે તબ જાન. મોદીએ આ સાથે કહ્યું કે, જ્યાં સુધી કોરોના સંપૂર્ણપણે ન જાય ત્યાં સુધી સાવધાની રાખો.
મોદીના સંબોધનના મહત્ત્વના અંશો
મોદીએ કહ્યું કે, સમયની સાથે આર્થિક વ્યવહારોમાં ધીમે ધીમે ઝડપ આવી રહી છે. આપણા પૈકી મોટાભાગના લોકો જીવનને ગતિ આપવા દરરોજ ઘરની બહાર નિકળે છે. બજારોમાં પણ તહેવારની આ સિઝનમાં ફરી રોનક આવી છે, પણ આપણે ભૂલવાનું નથી કે લોકડાઉન ભલે ગયું હોય, પણ કોરોના ગયો નથી. છેલ્લા આઠ મહિના બાદ જે સંભાળવી શકાય તેવી સ્થિતિમાં છીએ, તેને હવે આપણે બગડવા દેવાની નથી.
મોદીએ કહ્યું કે, આ સમય બેફિકર થવાનો નથી. આ સમય એવું માની લેવાનો નથી કે કોરોના જતો રહ્યો કે પછી કોરોનાથી કોઈ જોખમ નથી. તાજેતરના દિવસોમાં આપણે સૌએ એવી તસવીરો અને વીડિયો જોયાં છે કે જેમાં અનેક લોકોએ સાવધાની રાખવાની બંધ કરી દીધી છે. આ વાત યોગ્ય નથી. જો તમે લાપરવાહ થશો, માસ્ક વગર ફરશો તો તમે તમારી જાત માટે, પરિવાર માટે, બાળકો માટે અને વૃદ્ધો માટે સંકટ ઊભું કરશો.
મોદીએ કહ્યું કે, તહેવારનો સમય આનંદ અને ખુશીનો છે. આપણે એક મુશ્કેલ સમયને પાછળ રાખી આગળ વધી રહ્યા છીએ. જોકે થોડી લાપરવાહી પણ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. બે ગજનું અંતર, સમય સમયે સાબુથી હાથ ધોવા, માસ્ક લગાવવાને લઈ કાળજી રાખો. હું તમને સુરક્ષિત જોવા માંગુ છું. આ તહેવાર તમારા જીવનમાં ઉત્સાહ લાવે તેવું હું ઈચ્છુ છું. માટે હું સતત દેશવાસીઓને પણ આગ્રાહ કરું છું. મીડિયા, સોશિયલ મીડિયામાં એક્ટિવ કર્મીઓને આગ્રહ કરું છું કે જેટલું શક્ય બને એટલું વધારે જનજાગૃતિ અભિયાન કરશો, એટલું દેશના હિતમાં રહેશે. મારા દેશવાસીઓ સ્વસ્થ્ય રહો. ઝડપી ગતિથી આગળ વધો. આપ સૌ દેશવાસીઓને વિવિધ તહેવારો નિમિતે અભિનંદન પાઠવું છું નવરાત્રી, ઈદ, ગુરુનાનક જયંતી, દિવાળી, છઠ્ઠ સહિતના તહેવારો નિમિતે દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું.
મોદીએ કોરોનાની વૈશ્વિક સ્થિતિ જણાવતાં કહ્યું કે, આજે અમેરિકા કે યુરોપના અન્ય દેશો કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા હતા, પણ આ દેશમાં ફરી તે અચાનક વધવા લાગ્યા છે અને તે પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સંત કબીર દાસે કહ્યું છે કે પાકિ ખેતી દેખકર, ગર્વ કિયા કિસાન અજહુ ઝોલા (સંકટ) બહુત હૈ, ઘર આવે તબ જાન. રામચરિત માનસમાં શિક્ષાપ્રદ વાતો છે ચેતવણી પણ છે જેમાં કહેવાયું છે કે આગ, શત્રુ, પાપ એટલે કે ભૂલ અને બીમારીને ક્યારેય નાની ન સમજવી. જ્યાં સુધી તેની સંપૂર્ણ સારવાર ન થઈ જાય ત્યાં સુધી તેને હળવાશથી ન લેવું જોઈએ. જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલ ન કરવી.
દોહા સાથે મોદીએ કહ્યું કે, જ્યાં સુધી સફળતા સંપૂર્ણપણે ન મળે ત્યાં સુધી બેદરકારી દાખવવી જોઈએ નહીં. જ્યાં સુધી આ મહામારીની વેક્સિન ન આવી જાય ત્યાં સુધી આપણે કોરોના સામેની લડાઈને રતીભર ઓછી થવા દેવાની નથી. વર્ષો બાદ આપણે જોઈએ છીએ કે માનવતાને બચાવાવ માટે અનેક દેશ કામ કરી રહ્યા છે. આપણા દેશના વૈજ્ઞાનિકો પણ વેક્સિન માટે મહેનત કરે છે. ભારતમાં પણ વેક્સિન માટેનું કામ વિવિધ તબક્કા હેઠળ છે. કોરોનાની વેક્સિન જ્યારે પણ આવશે ત્યારે તે પ્રત્યેક ભારતીય સુધી કેવી રીતે પહોંચી તે અંગે સરકાર વ્યવસ્થા કરી રહી છે.
મોદીએ મૃત્યુદર વિશે કહ્યું કે, આપણા દેશમાં મૃત્યુદર ઓછો છે. ભારતમાં દસ લાખ પૈકી સાડા પાંચ હજાર લોકોને કોરોના થયો છે. જ્યારે અમેરિકા અને બ્રાઝિલમાં આ આંકડો ૨૫ હજાર છે. ભારતમાં ૧૦ લાખ દીઠ મૃત્યુદર ૮૩ છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ બ્રિટન જેવા દેશોમાં ૬૦૦ને પાર છે. વિશ્વના સક્ષમ દેશોની તુલનામાં ભારત તેના વધુને વધુ નાગરિકોના જીવનને બચાવવા માટે સફળ થઈ રહ્યું છે.
દેશમાં ૯૦ લાખથી વધારે બેડની સુવિધા ઉપલબ્ધ છે. ૧૨ હજાર ક્વોરેન્ટાઈન સેન્ટર છે. કોરોના ટેસ્ટિંગ પણ આશરે ૨૦૦૦ લેબ કામ કરે છે. ટેસ્ટની સંખ્યા ટૂંક સમયમાં ૧૦ કરોડને પાર થઈ જશે. કોવિડ મહામારી સામે ટેસ્ટની વધતી સંખ્યા આપણા માટે મોટી શક્તિ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter