નવી દિલ્હીઃ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને માઇક્રોસોફ્ટના વડા બિલ ગેટ્સે જૂની ચલણી નોટો રદ કરવાના મોદીના નિર્ણયને સાહસિક ગણાવ્યો છે. આને કારણે બ્લેક મનીનાં સમાંતર અર્થતંત્રનો નાશ કરી શકાશે એમ તેમણે કહ્યું હતું. અર્થતંત્રને પારદર્શક બનાવવા માટે આ એક મહત્ત્વનું અને આવકાર્ય પગલું છે. જૂની નોટોને બદલીને તેનાં સ્થાને નવી નોટો ચલણમાં લાવવાથી અર્થતંત્ર વધારે પારદર્શક બનશે અને ડિજિટલ લેવડદેવડ શક્ય બનશે. આવનારા સમયમાં ભારત વિશ્વનું સૌથી વધુ ડિજિટલાઇઝડ અર્થતંત્ર પૈકી એક હશે.
ગેટ્સે કહ્યું હતું કે, આથી કામકાજની ટકાવારી સુધરશે. ડિજિટાઇઝેશનને સફળ બનાવવા માટે ભારત સરકારને સાચા અને યોગ્ય દિશાનાં પગલાં ભરવાં તેમણે અપીલ કરી હતી. ભારતમાં સ્ટાર્ટઅપ તેમજ સ્વચ્છ ભારત અભિયાનના કાર્યક્રમની તેમણે પ્રશંસા કરી હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માર્કેટ તેમજ લેબર અને ટેક્સ જેવા મહત્ત્વના મુદ્દા પર યોગ્ય પગલાં લેવા જરૂરી છે. ભારતે ભાવી પડકારો માટે સજ્જ થવું પડશે. એવી ટેક્નોલોજીનું નિર્માણ કરવાનું રહેશે કે જેથી વૈશ્વિક પડકારોનો સામનો કરી શકાય.