નવી દિલ્હીઃ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે બીજીએ એક અખબારી મુલાકાતમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના શાસનમાં પણ ભારતીય સશસ્ત્રદળોને છૂટો દોર આપવામાં આવ્યો હતો. સેનાના ઓપરેશનોનો ઉપયોગ કરી રાજકીય લાભ લેવાના ભાજપના પ્રયાસો અસ્વીકાર્ય અને શરમજનક છે. બીજી તરફ કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે, યુપીએના સમયગાળામાં છ સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ હતી.
મનમોહન સિંહે જણાવ્યું હતું કે, મારા વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં પણ સેના દ્વારા સંખ્યાબંધ સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ હતી. સેનાના ઓપરેશનો વ્યૂહાત્મક પ્રભુત્વ માટે અને ભારત વિરોધી પરિબળોને જડબાતોડ જવાબ આપવા માટે હોય છે. સેનાના ઓપરેશન મત મેળવવાની કવાયતો હોતી નથી.