નવી દિલ્હીઃ રાફેલ સોદામાં અનિલ અંબાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાભ પહોંચાડ્યા હોવાના કોંગ્રેસના આરોપો વચ્ચે રિલાયન્સ ગ્રુપે રવિવારે જણાવ્યું કે, યુપીએના શાસનમાં રિલાયન્સ ગ્રુપને રૂ. ૧ લાખ કરોડના કોન્ટ્રાક્ટ મળ્યા હતા. તેથી રાહુલ ગાંધીએ દુષ્પ્રચાર બંધ કરવો જોઈએ. રિલાયન્સે એ પણ જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના દાવામાં આ ડીલ અંગે કોઈ નક્કર આધાર પણ જણાવ્યો નથી. રિલાયન્સે જણાવ્યું કે, અમારા ચેરમેન અનિલ અંબાણી પર ક્રોની કેપિટલિસ્ટ અને બેઇમાન બિઝનેસમેનનો આરોપ મૂક્યો છે, જે જૂઠાણું છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પાંચમીએ રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ દાખલ રિવ્યૂ અરજીઓ પર જવાબ રજૂ કર્યો હતો. કેન્દ્રએ કહ્યું કે, રાફેલ ડીલ પર વડા પ્રધાન કાર્યાલયે (પીએમઓ) નજર રાખી તેને સમાંતર સોદાબાજી માની ન શકાય.