રતલામઃ મધ્ય પ્રદેશમાં હિન્દુ ધર્મ અંગીકાર કરવાની 15 દિવસમાં બીજી ઘટના સામે આવી છે. રતલામના આમ્બામાં 18 લોકોએ મુસ્લિમ ધર્મનો ત્યાગ કરીને હિન્દુ ધર્મ અપનાવ્યો છે. પરિવારના મોભી મોહમ્મદ શાહ હવે રામ સિંહ બની ગયા છીએ. ભીમનાથ મંદિરમાં શિવમહાપુરાણની પૂર્ણાહુતિ પ્રસંગે નવ જૂને સ્વામી આનંદગિરિ મહારાજના સાંનિધ્યમાં ગૌમૂત્ર અને છાણથી સ્નાન કરીને જનોઈ ધારણ કરી હતી. તમામે કોઈ પણ પ્રકારના દબાણ વગર ધર્મપરિવર્તન કર્યું હોવાનું કહ્યું છે. જડીબુટ્ટીઓ અને તાવીજ વેચતા 55 વર્ષીય મોહમ્મદ શાહે પરિવાર સાથે ધર્મપરિવર્તન કર્યું. તેમણે કહ્યું કે, બે-ત્રણ પેઢી પહેલાં તેમના પરિવારના સભ્યો વાદી સમાજમાં વાંસળી વગાડવાનું કામ કરતા હતા. પછી રોજગારીની શોધમાં જડીબુટ્ટીઓ વેચવાનું અને તાવીજ બનાવવાનું કામ કરતા હતા અને સમય જતાં મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. થોડો સમય ગામમાં રહ્યા બાદ હિન્દુ ધર્મમાં રુચિ વધી હતી. ગામમાં શિવમહાપુરાણ કથા દરમિયાન સ્વામીજીને ધર્મપરિવર્તનની વાત કરી હતી.