નવી દિલ્હીઃ ચૂંટણી પંચે મતદાનની તારીખો જાહેર કર્યાના એક જ દિવસ પછી કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓએ રમજાન માસમાં ચૂંટણી યોજવા બદલ વાંધો ઉઠાવ્યો છે. તેમણે ચૂંટણીની તારીખોમાં ફેરફારની માંગ કરી હતી. જોકે, મુસ્લિમ સમાજના અનેક લોકો મૌલાનાઓ સાથે સહમત નથી. કોલકતામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા ફિરદાહ હકીમે કહ્યું કે બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને ઘણી મુશ્કેલી પડશે. તેઓ મત આપવા નહીં જઈ શકે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હતું કે આખો રમજાન માસ ચૂંટણી મુલત્વી રાખવાનું શક્ય નથી. બીજી જૂન પહેલાં નવી સરકારની રચના જરૂરી છે. અમે શુક્રવાર કે રમજાનમાં મતદાન ના યોજાય તેનું પૂરતું ધ્યાન રાખ્યું છે. અમારી પાસે આ તારીખોમાં ફેરફારનો કે સમયને આગળ-પાછળ કરવાનો વિકલ્પ નહોતો. ૧૯૬૨ની ચૂંટણીમાં પણ રમજાન માસમાં મતદાન થયું હતું તે સમયે કોઈ વિરોધ થયો ન હતો. આ વખતે પહેલી વાર આ પ્રકારે ધર્મના નામે વિરોધ થઈ રહ્યો છે. જોકે પંચે તારીખમાં ફેરફાર કરવાનો સ્પષ્ટ નનૈયો ભણી દીધો છે.