નવી દિલ્હી: કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષનો દબદબો રહ્યા છથાં સત્તાથી વંચિત રહી ગયેલા પક્ષની નજર રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ચૂંટણીઓ પર હતી. જોકે કર્ણાટક પછી ભાજપ માટે પરિસ્થિતિ વણસતી દેખાય છે. મોદી સરકારે સત્તા સંભાળ્યાને ૪ વર્ષ પૂરા કર્યાં તે સંદર્ભમાં એબીપી ન્યૂઝ, સીએસડીએસ – લોકનીતિએ કરેલા સંયુક્ત અભ્યાસમાં એવો નિર્દેશ સ્પષ્ટ છે કે આ વર્ષના અંતમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાલત પહેલાં કરતાં વધુ ખરાબ થશે. જ્યારે કોંગ્રેસનાં વોટ શેરિંગમાં વધારો થશે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રાજસ્થાનમાં ભાજપને ૩૯ ટકા અને કોંગ્રેસને ૪૪ ટકા તેમજ અન્યોને ૧૭ ટકા વોટ મળશે. અગાઉની ચૂંટણીમાં એટલે કે ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૪૫.૧૭ ટકા અને કોંગ્રેસને ૩૩.૦૭ ટકા તેમજ અન્યને ૨૧.૭૬ ટકા મત મળ્યા હતા. ૨૦૦ બેઠકો ધરાવતી આ વિધાનસભામાં ભાજપ હાલમાં ૧૬૩ સીટ ધરાવે છે.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ દમદાર
મધ્ય પ્રદેશમાં ભાજપને મોટું નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. અહીં ભાજપને ૩૪ ટકા, કોંગ્રેસને ૪૯ ટકા અને અન્યોને ૧૭ ટકા મત મળે તેવી ધારણા છે. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં વોટ શેરિંગની દૃષ્ટિએ ભાજપને ૪૪.૮૮ ટકા, કોંગ્રેસને ૩૬.૩૮ ટકા અને અન્યોને ૧૮.૭૪ ટકા વોટ મળ્યા હતા. ૨૩૦ સીટ ધરાવતી મધ્ય પ્રદેશની વિધાનસભામાં ભાજપ હાલ ૧૬૫, કોંગ્રેસ ૫૮ સીટ ધરાવે છે. બીજીતરફ એબીપી ન્યૂઝ – લોકનીતિ અને સીએસડીએસના સર્વેક્ષણમાં જણાયું કે વર્ષ ૨૦૧૯માં કેટલાક વિસ્તારમાં ભાજપને નુકસાન થવાની સંભાવના હોવા છતાં વડા પ્રધાન મોદી ફરી સરકાર બનાવશે.