અલવરઃ પોલીસે કાયદાનો અભ્યાસ કરતી યુવતી પર બળાત્કાર કરવા બદલ ૭૦ વર્ષીય સ્વામી કૌશલેન્દ્ર પ્રપન્નાચારી ફળાહારી મહારાજની રાજસ્થાનના અલવરની એક ખાનગી હોસ્પિટલમાંથી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર છત્તીસગઢના બિલાસપુર જિલ્લાની ૨૧ વર્ષીય યુવતીએ આ મહિનાની શરૂઆતમાં મહારાજ સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરતા તેઓ હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતાં. અરવલ્લી પોલીસ સ્ટેશનના એસએચઓ હેમરાજ મીણાએ જણાવ્યું હતું કે ફળાહારી મહારાજને તબીબી પરીક્ષણ માટે અલવરની રાજીવ ગાંધી ગર્વમેન્ટ જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાજની તબીબી પરીક્ષણ કરવા ત્રણ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. ૧૧ સપ્ટેમ્બરે દાખલ કરાયેલી ફરિયાદ અનુસાર જયપુરમાં કાયદાનો અભ્યાસ કરતી પીડિતાના માતા પિતા મહારાજના ભક્ત હતાં. મહારાજની ભલામણને આધારે જ યુવતી દિલ્હીમાં એક વરિષ્ઠ વકીલને ત્યાં ઈન્ટર્નશિપ કરી છે. આ ઇન્ટર્નશિપ દરમિયાન તેને રૂ. ૩૦૦૦નું સ્ટાઇપેન્ડ મળ્યું હતું.
તેના માતાપિતાએ તેને સલાહ આપી કે તે આ સ્ટાઇપેન્ડની રકમ મહારાજને દાનમાં આપી દે. જેના પગલે યુવતી રક્ષાબંધનના દિવસે મહારાજના આશ્રમમાં પહોંચી હતી. મહારાજે તેને ગ્રહણનું કારણ આપી યુવતીને આશ્રમમાં જ રોકાઇ જવાની સલાહ આપી હતી. તે જ રાતે મહારાજે આ યુવતીને પોતાના રૂમમાં બોલાવી હતી અને તેના પર બળાત્કાર કર્યો હતો.


