નવી દિલ્હીઃ દેશમાં આઠ રાજ્યની ૧૯ રાજ્યસભા બેઠક માટે ૧૯મી જૂને ચૂંટણી થઈ હતી. રાજસ્થાનની ત્રણ બેઠક માટે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસના કે. સી. વેણુગોપાલ, નીરજ દાંગી અને ભાજપના રાજેન્દ્ર ગેહલોત ચૂંટાયા હતા. મધ્ય પ્રદેશમાં ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા, સુમેરસિંહ સોલંકી અને કોંગ્રેસના દિગ્વિજય સિંહની પસંદગી થઈ હતી. સિંધિયા ફેબ્રુઆરીમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતાં.
મધ્ય પ્રદેશમાં સપાએ ભાજપના પક્ષમાં મતદાન કરવા બદલ તેમના એકમાત્ર ધારાસભ્ય રાજેશ શુકલાને પક્ષમાંથી હાંકી કઢાયા હતા. રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણી માટે વિદેશથી આવીને મતદાન કરનારા વાજિલ અલી વિરુદ્ધ ભાજપે કોરોનાને લગતા નીતિનિયમોનું પાલન નહીં કરવાના આરોપમાં એફઆઈઆર નોંધાવી છે. વાજિલ અલી ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા હતા.
આંધ્ર પ્રદેશની તમામ ચાર બેઠક પરથી રાજ્યમાં સત્તારૂઢ વાઈએસઆરસીપીના પી. સુભાષચંદ્ર બોઝ, પરિમલ નથવાણી, મોપી દેવી વેંકટ રમન અને અલ્લા અયોધ્યા રામી રેડ્ડીની જીત થઈ છે. મણિપુરની એક બેઠક પર ભાજપ તરફથી પૂર્વ મહારાજ સનાજાઓબા લેઈશેંબા ચૂંટણી જીત્યા છે. કર્ણાટકથી એચ. ડી. દેવ ગૌડા રાજ્યસભા પહોંચ્યા છે.