નવી દિલ્હીઃ એપ્રિલ ૨૦૨૦માં ૧૭ રાજ્યોનાં ૫૫ રાજ્યસભા સાંસદો નિવૃત્ત થઇ રહ્યાં હોવાથી આ બેઠકો માટે ચૂંટણી પંચે ૨૬ માર્ચના રોજ મધ્યાવધિ ચૂંટણી યોજવાની જાહેરાત તાજેતરમાં કરી હતી. મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મણિપુર, રાજસ્થાન અને મેઘાલયમાં રાજ્યસભાના સાંસદોની ચૂંટણી યોજાવાની છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૭, તામિલનાડુમાં ૬ અને પશ્ચિમ બંગાળમાં પાંચ બેઠકો ખાલી થઇ રહી છે. ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠકોની મુદત ૯ એપ્રિલના રોજ પૂરી થાય છે. રાજ્યમાં સત્તાધારી ભાજપ પાસે હાલ ૪માંથી ૩ બેઠકો છે જ્યારે એક બેઠક કોંગ્રેસ પાસે છે. રાજ્યસભાની ચૂંટણી માટેનું જાહેરનામું ૬ માર્ચે જાહેર કરાયું હતું અને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૩ માર્ચ ઘોષિત કરાઈ હતી. ૧૬મી માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવાનું ચૂંટણી પંચે જણાવ્યું હતું અને જાહેર કર્યું હતું કે, ઉમેદવાર ૧૮મી માર્ચ સુધી પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી શક્શે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન બેલેટ પેપર દ્વારા કરાશે. ચૂંટણી પંચે જણાવ્યું કે, ૨૬ માર્ચે મતદાનના એક કલાક બાદ તે જ દિવસે મતગણતરી હાથ ધરાશે.
રાજ્યસભામાંથી નિવૃત્ત થઇ રહેલા દિગ્ગજ નેતાઓમાં એનસીપીના સુપ્રીમો શરદ પવાર, કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે, કોંગ્રેસના પીઢ નેતા મોતીલાલ વોરા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન વિજય ગોયલનો પણ સમાવેશ થાય છે.
કયા રાજ્યોમાં કેટલી બેઠકો પર ચૂંટણી
૭ મહારાષ્ટ્ર, ૬ તામિલનાડુ, ૫ પશ્ચિમ બંગાળ, ૫ બિહાર, ૪ ગુજરાત, ૪ ઓરિસ્સા, ૪ આંધ્ર પ્રદેશ, ૩ આસામ, ૩ મધ્ય પ્રદેશ, ૩ રાજસ્થાન, ૨ તેલંગણા, ૨ છત્તીસગઢ, ૨ હરિયાણા, ૨ ઝારખંડ, ૧ હિમાચલ પ્રદેશ, ૧ મણિપુર, ૧ મેઘાલય