નવી દિલ્હી: ફ્રેન્ચ કંપની દસોલ્ટ પાસેથી ૩૬ રાફેલ યુદ્ધવિમાન ખરીદવાના સોદામાં મોદી સરકારને અપાયેલી ક્લિન ચીટનો પુનરોચ્ચાર કરતાં ૧૪મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે તેના ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ના ચુકાદાની સમીક્ષાની માગ કરતી પીટિશનો તર્કવિહીન ગણાવી રદ કરી નાંખી હતી. રૂ. ૫૮,૦૦૦ કરોડના વિમાન સોદામાં કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે એફઆઇઆર નોંધવાની જરૂર હોવાની અરજકર્તાઓની દલીલ પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
ચિફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસ. કે. કૌલ અને જસ્ટિસ કે. એમ. જોસેફની બેન્ચે જણાવ્યું હતું કે, અમને રિવ્યુ પીટિશનમાં કોઇ તર્ક જ જણાતો નથી. અમે એ વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરી શકીએ નહીં કે, રાફેલ વિમાનની દેશને કેટલી જરૂર છે. અમે અગાઉ આ કેસની સુનાવણીમાં તમામ પાસા પર મેરિટના આધારે વિચારણા કરી ચૂક્યા છીએ.
રાફેલ સોદોઃ રાહુલ ગાંધી વિરુદ્ધ દેખાવો
રાફેલ સોદા માટે જુઠ્ઠું બોલીને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ ભાજપના હજારો કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ દેશભરમાં દેખાવો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના કાર્યકરોએ તમામ જિલ્લા કક્ષાએ દેખાવો કર્યો. દિલ્હી કોંગ્રેસ હેડ ક્વાર્ટરમાં ભાજપના હજારો કાર્યકરો ઊમટી પડ્યા હતા અને રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધી માફી માગે તેવી માગણી કરી હતી.
રાહુલ વિરુદ્ધ ટેક્સની હેરાફેરીનો કેસ
ઇન્કમટેક્સ ટ્રિબ્યૂનલે કોંગ્રેસના પૂ્ર્વ પ્રમુખ રાહુલ ગાંધીની યંગ ઇન્ડિયાને ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની અરજી રદ કરી છે. ટ્રિબ્યૂનલે આદેશમાં જણાવ્યું હતું કે આ સમાજિક ચેરિટેબલ ટ્રસ્ટ નહીં પણ નાણાકીય સંગઠન છે. જેનો મતલબ એ થયો કે રાહુલ ગાંધી વિરુદ્વ હવે રૂ. ૧૦૦ કરોડના ટેકસમાં હેરાફેરીનો કેસ ફરી ખોલાશે. ગયા ઓગસ્ટમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસના નેતા મોતીલાલ વોરા અને હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દરસિંહ હુડા વિરુદ્ધ મની લોન્ડરિંગ મામલે તપાસમાં આરોપપત્ર દાખલ કર્યું છે.