નવી દિલ્હીઃ ફ્રેન્ચ કંપની દસોલ્ટ પાસેથી ૩૬ રાફેલ યુદ્ધવિમાન ખરીદવાના સોદામાં મોદી સરકારને અપાયેલી ક્લિન ચીટનો પુનરોચ્ચાર કરતાં ૧૪મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે તેના ૧૪ ડિસેમ્બર ૨૦૧૮ના ચુકાદાની સમીક્ષાની માગ કરતી પીટિશનો તર્કવિહીન ગણાવી રદ કરી નાંખી હતી. રૂ. ૫૮,૦૦૦ કરોડના વિમાન સોદામાં કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે એફઆઇઆર નોંધવાની જરૂર હોવાની અરજકર્તાઓની દલીલ પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
ચિફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ કે એમ જોસેફની બેન્ચે જણાવ્યું હતું કે, અમને રિવ્યુ પીટિશનમાં કોઇ તર્ક જ જણાતો નથી. અમે એ વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરી શકીએ નહીં કે, રાફેલ વિમાનની દેશને કેટલી જરૂર છે. અમે સરકાર પાસે લાંબા સમયથી પડતર એવા કોન્ટ્રાક્ટ પર નિર્ણય કરી રહ્યા છીએ. અરજકર્તાઓ દ્વારા આ સોદામાં એફઆઇઆર નોંધવા અને સીબીઆઇ તપાસની માગ કરવામાં આવી છે. આ કેસમાં પહેલીવાર સુનાવણી થઇ રહી નથી. અમે અગાઉ આ કેસની સુનાવણીમાં તમામ પાસા પર મેરિટના આધારે વિચારણા કરી ચૂક્યા છીએ.