મુંબઇઃ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના ખજાનચી સ્વામી ગોવિંદ દેવગિરિ મહારાજે એક મરાઠી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં રવિવારે જણાવ્યું હતું કે, અયોધ્યામાં મુખ્ય રામ મંદિર ત્રણથી સાડા ત્રણ વર્ષમાં બનીને તૈયાર થઇ જશે અને તેના બાંધકામ પાછળ રૂ. ૩૦૦થી ૪૦૦ કરોડ ખર્ચ થશે. ૭૦ એકર જમીન પર સંપૂર્ણ તીર્થ સ્થાનના બાંધકામ પાછળ રૂ. ૧૧૦૦ કરોડથી વધુ રકમ ખર્ચ થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે, રામ મંદિર બાંધકામ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નિષ્ણાતો સાથેની ચર્ચાને અંતે આ આંકડાકીય તારણ સુધી પહોંચ્યા છે. મંદિર ટ્રસ્ટે પ્રોજેક્ટ પાછળ થનારા ખર્ચ અંગે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

