અયોધ્યાઃ રામ જન્મભૂમિ પરિસરમાં રામ મંદિર નિર્માણને લઇને તૈયારીઓ તેમજ ભૂમિ સમથળ કરવાનું કામ ચાલી રહ્યું છે. અહીં લોખંડની બેરિકેડિંગ હટાવવાનું કામકાજ પણ ચાલે છે. ભૂમિ સમથળ કરવાના કામ દરમિયાન અહીં કેટલાક પ્રાચીન અવશેષો તાજેતરમાં મળી આવ્યાં છે. રામ જન્મભૂમિ પરિસરમાં ખોદકામ દરમિયાન પૌરાણિક મૂર્તિઓ, શિવલિંગ અને કેટલાક સ્તંભના અવશેષો મળી આવ્યા છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાયે આ અંગે
કહ્યું કે, ખોદકામ દરમિયાન અનેક મૂર્તિઓ નીકળવાની સાથે એક મોટું શિવલિંગ પણ નીકળ્યું છે.
ખોદકામ દરમિયાન ખંડિત મૂર્તિઓ, કળશ, આમલક, દોરજામ્બ વગેરે જેવી કલાકૃતિ મળી આવી હતી. આમાં ૭ બ્લેક ટચ સ્ટોનના સ્તંભ, ૮ રેડ સેંડના સ્તંભ અને ૫ ફૂટનું નકશીયુકત શિવલિંગ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ૧૧ મેથી રામ જન્મભૂમિ પરિસરમાં ખોદકામનું કામ શરૂ થયું છે. હાલ અહીં કોરોના વાઈરસના જોખમને ધ્યાનમાં રાખીને ૧૦ લોકો જ કામ કરી રહ્યાં છે.