રામ મંદિરના પથ્થરો ગુજરાતી મહિલાઓ સાફ કરશે

Monday 02nd March 2020 04:53 EST
 

અમદાવાદઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યમાં ઉપયોગમાં લેવાનાર પથ્થરોની સફાઈ માટે હોળીએ ગુજરાતમાંથી ૮થી વધુ મહિલા અયોધ્યા પહોંચશે. રામ મંદિરના નિર્માણના સુપરવાઈઝર અનુભાઈ સોમપુરાના જણાવ્યા અનુસાર હોળીના ૨ દિવસ પહેલાં મંદિરનું અધૂરું કાર્ય પૂર્ણ કરવાની કામગીરી શરૂ કરાશે. આ તમામ મહિલાઓને દિવસના રૂ. ૪૦૦ મળશે. અત્યાર સુધીમાં ૪૦ ટકા પથ્થરની સાફ-સફાઈ થઈ ચૂકી છે, પરંતુ બાકી તમામ પથ્થરની સાફ-સફાઈનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મંદિરની અંદર જે સ્થંભ તૈયાર થશે, તે રાજસ્થાનના શિહોરી ડિસ્ટ્રિક્ટમાં તૈયાર કરવામાં આવશે. તેમ જ મંદિરની બહારની દીવાલના અયોધ્યામાં જ તૈયાર કરવામાં આવે છે. ટ્રસ્ટીઓના આદેશ મુજબ અમદાવાદની ૮થી વધુ મહિલાઓને મંદિરના સફાઈ માટે અયોધ્યા લઈ જવામાં આવશે. આ તમામ મહિલાઓ મંદિરની અંદર જૂના પથ્થરની સફાઈ કરશે. મંદિરમાં લાગેલા તમામ પથ્થર જૂના છે.

વર્ષોથી ભોઈ સમાજની મહિલાઓ પથ્થર સફાઈ કાર્યમાં જોડાયેલી છે

અમદાવાદના દિલ્લી દરવાજા વિસ્તારમાં રહેતા ભોઈ સમાજની મહિલા દ્વારા જૂના પૌરાણિક પથ્થરોની સફાઈ કરવામાં આવે છે. આ કાર્ય સાથે આશરે ૧૨૦૦થી વધુ મહિલાઓ સંકળાયેલી છે. દેશમાં જેટલા મોટા મોટા જૂના પથ્થર છે, તેનું સફાઈનું કાર્ય આ સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. અયોધ્યામાં ભોઈ સમાજની મહિલાઓ આ તમામ કાળા પડેલા પથ્થર પર એમરીનો ઉપયોગ કરીને ગુલાબી પથ્થર બનાવશે. અયોધ્યા રામમંદિરની લાદી બંસી પહાડપુરના પથ્થરોમાંથી તૈયાર કરાઈ છે. આ પથ્થર સેમસ્ટોન (રેંટિયો પથ્થર) તરીકે પણ ઓળખવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter