નવી દિલ્હીઃ અયોધ્યામાં રામમંદિર – બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસનો ઉકેલ વધુ ૩ મહિના લંબાઈ ગયો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે ૧૦મીએ અદાલત દ્વારા જ નિયુક્ત કરાયેલી મધ્યસ્થ સમિતિને લાંબાગાળાથી પડતર એવા અયોધ્યા વિવાદના ઉકેલ માટે પ્રયાસો જારી રાખવા ૧૫ ઓગસ્ટ, ૨૦૧૯ સુધીનો સમય આપ્યો છે. સમિતિએ બંધારણીય બેન્ચને એક વચગાળાનો રિપોર્ટ પણ સુપરત કર્યો હતો. સમિતિએ અદાલતને એમ જણાવ્યું હોવાનું મનાય છે કે, વાતચીતમાં પ્રગતિ થઈ છે અને અમે વિવિધ પક્ષકારો સાથે મુલાકાત કરી રહ્યાં છીએ. વિવાદના સર્વસંમત ઉકેલ માટે અમારે વધુ સમયની જરૂર છે.