રામલલ્લાને ૩૦ વર્ષે ગર્ભગૃહમાંથી અસ્થાયી મંદિરમાં ખસેડાશે

Friday 06th March 2020 06:59 EST
 
 

લખનઉઃ નવા રચાયેલા રામ મંદિર ટ્રસ્ટે અયોધ્યામાં અંતે રામ મંદિરના બાંધકામની કામગીરી શરૂ કરી છે. આ માટે સૌથી પહેલાં લગભગ ત્રણ દાયકા સુધી કામચલાઉ ટેન્ટમાં રહેતા ભગવાન રામલલ્લાને અસ્થાયી મંદિરમાં ખસેડાશે. આ મંદિર વર્તમાન સ્થળથી ૨૦૦ મીટર દૂર ફાઈબરથી બનેલું હશે. શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની આગામી બેઠક અયોધ્યામાં એપ્રિલમાં થશે. તેમાં રામ મંદિર નિર્માણ અંગે કેટલાક મહત્ત્વપૂર્ણ વિષયો પર નક્કર નિર્ણયો લેવામાં આવશે. મંદિર નિર્માણ શરૂ કરતાં પહેલાં ભૂમિપૂજન કાર્યક્રમની તારીખ પણ આ બેઠકમાં નક્કી કરાશે તેમજ પરિસરના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રામલલ્લાને ટેન્ટના મંદિરથી શિફ્ટ કરીને ૨૫મી માર્ચ સુધીમાં ફાઈબરના બુલેટપ્રુફ મંદિરમાં ખસેડાશે. મૂર્તિ ખસેડ્યા પછી દર્શનાર્થીઓને રામલલ્લાના વધુ નજીકથી દર્શન થશે. રામલલ્લાના અસ્થાયી મંદિર અને રામભક્તો વચ્ચેનું અંતર ઘટીને ૫૨ મીટર જેટલું થઈ જશે. બીજી એપ્રિલે આ રામનવમીએ રામભક્તો ખૂબ જ નજીકથી રામલલ્લાના દર્શન કરી શકશે.

ચંપતરાય હાલ અયોધ્યાના બે દિવસના પ્રવાસે છે. તેમણે જણાવ્યું કે રામલલ્લા પરિસરમાં સલામતી વ્યવસ્થામાં હાલ કોઈ ફેરફાર નહીં કરાય. માત્ર ફાયબર મંદિર સુધી શ્રદ્ધાળુઓને પહોંચવાનો માર્ગ તૈયાર કરાશે.

અયોધ્યામાં મસ્જિદ માટે સુન્ની વક્ફ બોર્ડ નવી જમીન ખરીદશે

બીજી તરફ સુન્ની વક્ફ બોર્ડ અયોધ્યાના રૌનાહીમાં સરકાર પાસેથી મળેલી પાંચ એકર જમીન પર મસ્જિદ નહીં બનાવવાનો વિચાર કરી રહ્યું છે. જોકે, તેઓ મસ્જિદ માટે નવી જમીન ખરીદશે અને બોર્ડ સરકાર પાસેથી મળેલી જમીન પર ઈન્ડો-ઈસ્લામિક કલ્ચર સેન્ટર બનાવશે. આ માટે ઈન્ડો-ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનની પણ રચના કરાઈ છે. પાંચ દિવસ પહેલા ટ્રસ્ટની નોંધણી પણ કરાઈ હતી. બોર્ડના અધ્યક્ષ ઝફર ફારુકીને જ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે.

વક્ફ બોર્ડની બેઠકમાં ટ્રસ્ટના ગઠનની મંજૂરી, મસ્જિદ માટે નવી જમીન ખરીદવા અંગેના નિર્ણયો પણ લેવાશે એવી ચર્ચા છે. સરકારે મળેલી જમીન પર ચેરિટેબલ હોસ્પિટલ અને પુસ્તકાલય પણ બની શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter