નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ નિવૃત્તિનાં ૬ મહિના પહેલાં હોદ્દા પરથી ૨૪મીએ અચાનક રાજીનામું આપ્યું છે. તેઓ હવે ન્યૂ યોર્કની યુનિવર્સિટીમાં સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાં શિક્ષણ આપવાનું કામ કરશે. તેમનો પરિવાર ન્યૂ યોર્કમાં જ રહે છે. તેઓ ઊર્જિત પટેલે રાજીનામું આપ્યા પછી ચિંતિત હતા. આરબીઆઈની સ્વાયત્તતા સહિત અનેક મુદ્દે સરકાર સાથે વિવાદ પછી ડિસેમ્બર ૨૦૧૮માં ઊર્જિત પટેલે આરબીઆઈનાં ગવર્નરપદેથી રાજીનામું આપ્યું હતું. તે વખતે વિરલ આચાર્યનાં રાજીનામાની પણ અફવા ઊડી હતી પણ તેમને મનાવી લેવાયા હતા.
શક્તિકાંત અને વિરલ વચ્ચે મતભેદો
છેલ્લી બે નાણાકીય નીતિની સમીક્ષા વખતે વિરલ આચાર્યનો મત આર્થિક વિકાસ અને મોંઘવારી માટે અન્યોથી જુદો હતો. હાલ નાણાકીય નીતિની મિટિંગમાં આરબીઆઈનાં ગવર્નર શક્તિકાંત દાસ અને ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય વચ્ચે રાજકોષીય ખાધ અને તેના સાચા મૂલ્યાંકન માટે મતભેદો સર્જાયા હતા. શક્તિકાંત દાસ ગવર્નર બન્યા પછી આરબીઆઈએ ૩ વખત રેપોરેટમાં ઘટાડો કર્યો હતો જેમાં ૨ વખત આચાર્યએ રેપોરેટ ઘટાડવાનો વિરોધ કર્યો હતો.