નવી દિલ્હીઃ ભારતના ડબલ મ્યૂટન્ટ કોરોનાના વેરિઅન્ટ બી.૧.૬૧૭ને કારણે દેશમાં કોરોના મહામારી નિયંત્રણ બહાર જઈ રહી છે. કોરોના મહામારીના આ સેકન્ડ વેવમાં ભારતમાં ૨૪ જ કલાકમાં સંક્રમણના નવા કેસની સંખ્યા દોઢ લાખને પાર કરી ગઈ છે. દેશમાં કૂદકે અને ભૂસકે વધી રહેલા એક્ટિવ કેસના પગલે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડિસિવિર ઇન્જેક્શનની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે રવિવારે દેશમાં કોરોના મહામારી સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી રેમડેસિવિર ઇન્જેક્શન અને રેમડિસિવર એક્ટિવ ફાર્માસ્યુટીકલ ઇન્ગ્રેડિયન્ટ્સની નિકાસ પર અનિશ્ચિત મુદતનો પ્રતિબંધ લાદી દીધો છે. સરકારે રવિવારે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યા જોતાં આગામી દિવસોમાં રેમડિસિવર ઈન્જેક્શની માગમાં વધારો થવાની સંભાવના છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ્સ ખરેલું ઉત્પાદકોના સંપર્કમાં છે. અને તેમને ઉત્પાદન વધારવાની સૂચનાઓ અપાઈ છે. હાલ દેશમાં અમેરિકાની ગિલીડ સાયન્સિઝ સાથેના વોલન્ટરી લાઇન્સ્સિંગ એગ્રીમેન્ટ અંતર્ગત કુલ ઉત્પાદન ક્ષમતા ૩૮.૮૦ લાખ ઇન્જેક્શન પ્રતિ માસ છે.