નવી દિલ્હીઃ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, તેમનાં પત્ની રાબડીદેવી અને પુત્રી મીસા ભારતીનાં 17 સ્થળે સીબીઆઈએ દરોડા પાડ્યા છે. રેલવે ભરતી કૌભાંડમાં ભ્રષ્ટાચાર આચરવા બદલ ત્રણેય સામે સર્ચ - જપ્તીની કાર્યવાહી કરાઇ છે. રેલવેમાં નોકરીને બદલે જમીન પડાવી લેવાના કેસમાં 17 સ્થળે સામૂહિક દરોડા પડાયા હતા. લાલુ, રાબડી અને મીસાનાં પટણા, ગોપાલગંજ અને દિલ્હી નિવાસે દરોડા પડાયા હતા. આઇઆરસીટીસી ભરતી કૌભાંડમાં તેમની સામે નવો કેસ થયો છે. જુદા જુદા પાંચ ચારા કૌભાંડમાં લાલુ પ્રસાદને કેદની સજા થઈ છે, જેમાં હજી થોડા સમય પહેલાં જ તેમને જામીન મળ્યા છે. રાજદએ દરોડાને રાજકીય કિન્નાખોરી ગણાવી હતી અને ભાજપ દ્વારા પ્રાદેશિક પક્ષોને ટાર્ગેટ કરાઈ રહ્યાનો આક્ષેપ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે યાદવ પરિવાર 2004થી 2009 વચ્ચે રેલવેમાં નોકરીના બદલામાં લોકો પાસેથી જમીન તેમજ અન્ય સંપત્તિ પચાવી પાડવાનો આરોપ છે. લાલુ પ્રસાદ રેલવે પ્રધાન હતા ત્યારે તેમણે લોકોને નોકરી આપવા આ ભ્રષ્ટાચાર આચર્યો હતો. કેસમાં કુલ 15 સામે ગુનો નોંધાયો છે.