નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર પ્રિયંકા ચોપરાએ બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થી કેમ્પની મુલાકાત લીધી હતી. એ પછી વિવાદ શરૂ થયો છે. ભાજપના નેતા વિનય કટિયારે કહ્યું હતું કે ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ દેશ મૂકીને અન્ય દેશમાં જતું રહેવું જોઈએ.
યુનિસેફની એમ્બેસેડર તરીકે અભિનેત્રી પ્રિયંકાએ બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓના કેમ્પની મુલાકાત લીધી હતી. પ્રિયંકાએ ટ્વિટર ઉપર તસવીરો શેર કરીને લખ્યું હતું કે, હું યુનિસેફ ફિલ્ડ વિઝિટના ભાગરૂપે રોહિંગ્યા શરણાર્થી કેમ્પની મુલાકાતે છું. બાળકો બેઘર થઈ ગયા છે. દુનિયાએ તેનું ધ્યાન રાખવાની જરૂર છે. આ મુલાકાત પછી ભાજપના ફાયરબ્રાન્ડ નેતા વિનય કટિયારે કહ્યું હતું કે, પ્રિયંકાને દેશ છોડીને જવું હોય તો તે જઈ શકે છે. તેણે દેશ મૂકીને અન્ય દેશમાં જતું રહેવું જોઈએ. રોહિંગ્યા પ્રત્યે લાગણી રાખનારા તમામ લોકોએ દેશ મૂકી દેવો જોઈએ.