નવી દિલ્હીઃ સરકાર દ્વારા નોટો બદલવા માટે સાત મહત્ત્વની જાહેરાતો કરાઈ છે. અત્યાર સુધી બેન્કોમાં જૂની નોટોની સામે રૂ. ૪,૫૦૦ની મર્યાદામાં નવી નોટો બદલી આપવામાં આવતી હતી. આ મર્યાદામાં ૧૮ નવેમ્બરથી અમલમાં આવે તેવી રીતે ઘટાડો કરાયો છે, આમ ૧૮મી નવેમ્બરથી ફક્ત રૂ. ૨,૦૦૦ સુધીની જૂની નોટો જ બદલી આપવામાં આવશે.
આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસ દ્વારા સરકારે લીધેલા મહત્ત્વના સાત પગલાંની પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ખેડૂતો ખાતર અને બિયારણ ખરીદવા દર અઠવાડિયે રૂ. ૨૫,૦૦૦ ઉપાડી શકશે, જે પરિવારમાં લગ્નપ્રસંગ હશે તે પરિવાર રૂ. ૨,૫૦,૦૦૦ની રકમ ઉપાડી શકશે. પૈસા ઉપાડતી વખતે લગ્નની કંકોત્રી રજૂ કરવાની રહેશે.