નવી દિલ્હીઃ ભારત સરકારે લોકડાઉન જાહેર કર્યા પછી ૨૪મી માર્ચથી હજારો શ્રમજીવીઓએ સામૂહિક હિજરત શરૂ કરી દીધી હતી. જાહેર કે ખાનગી વાહનો ન મળતાં બાઈક પર કે પગપાળા જ મજૂરો કામદારો વતન નીકળ્યાં હતાં. લાખોની સંખ્યામાં મોટા શહેરોમાં આજીવિકા રળવા પહોંચેલા મજૂરો, કારીગરો, રિક્ષા ચલાવનારા વગેરેએ સામૂહિક હિજરત શરૂ કરી દેતાં અંધાધૂંધી સર્જાઈ છે.
બસમાં ભીડ જામી પડી
દિલ્હીના આનંદવિહાર બસ સ્ટેશન અને ગાઝિયાબાદની ઉત્તર પ્રદેશ સાથેની સરહદે લાખોની સંખ્યમાં લોકો જમા થઈ ગયા હતા. દિલ્હીના આનંદવિહાર બસ સ્ટેશન પર ઉમટેલા લાખો હિજરતીઓને હવે સરકારે જ બસોમાં સવારી કરીને કોરોના વાઇરસના જીવતા બોંબ અલગ અલગ શહેરો અને ગામોમાં મોકલી રહી છે. મહારાષ્ટ્ર-ગુજરાત સરહદે ૩૦૦૦થી વધુ મજૂરો ફસાયા હતા. આ મજૂરો ગુજરાત અને રાજસ્થાનના હોવાના અહેવાલ હતા. મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારે તેમનાં માટે સરહદો સીલ કરી તેથી પાલઘરમાં એક ગામડામાં તેઓ ફસાયા હતા. ખાવા પીવા કોઇ વિકલ્પ નહોતા, હાલ સ્થાનિકો દ્વારા મદદ કરાઈ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યોની સરકારોએ પોત પોતાની સરહદોને હાલ સીલ કરી દીધી છે તેથી આ મજૂરોની હાલત વધુ કફોડી બની છે.
પાંચ લાખ ટ્રક અને હોટેલ બિનવારસી
દેશના વિવિધ રાજ્યમાં આશરે પાંચ લાખ ટ્રક અને હોટેલ બિનવારસી પડ્યા છે. ડ્રાઇવરો અને કિલનરો તેમની ટ્રક છોડીને વતન જતા રહ્યા છે. ઇન્ડિયન ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગે ટ્રકોનું ટ્રેકિંગ કરીને જાણકારી આપી છે. ટ્રક માલિકોને શંકા છે, કે આ સ્થિતિમાં ટ્રકોની કે સ્પેરપાર્ટ્સની ચોરી થઇ શકે છે. જનતા કફર્યુના દિવસે એટલે કે ૨૨ માર્ચ લાબું અંતર કાપનારા આશરે ૧૦ લાખ ટ્રેક રસ્તામાં હતા. ટ્રેનો બંધ થવાથી જાહેરાત થતાં અફરાતફરી શરૂ થઇ. આ ટ્રકોમાં ૬ લાખ માલસામાનથી ભરેલી અને ૪ લાખ ખાલી છે.
વતન જતાં ૧૧નાં અકસ્માતમાં મૃત્યુ
મહારાષ્ટ્ર અને તેલંગણામાં પોતાના ઘરની તરફ જઇ રહેલ કેટલાક લોકોને અકસ્માત નડયો હતો. જેમાં કુલ ૧૧ લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઇ તાલુકામાં ૨૮મી માર્ચે ઝડપથી આવી રહેલા ટેમ્પોએ કચડી નાંખતા ચાર લોકોનાં મોત થયા હતાં અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. આ તમામ રાજસ્થાનથી પોતાના વતન તરફ જવા નીકળ્યા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર મુંબઇ-અમદાવાદ હાઇવે પાસે આવેલા વસઇ તાલુકાના પરોલ ગામમાં આ અકસ્માત સર્જાયો હતો. આ સાત લોકોને પોતાના વતન તરફ જતા રોકવામાં આવતા તેઓ મુંબઇ તરફ જઇ રહ્યાં હતાં. અન્ય એક ઘટનામાં કર્ણાટકના મજૂરોને લઇ જઇ રહેલી વાન તેલંગણામાં ટ્રક સાથે અથડાતા સાત મજૂરોનાં મોત થયાં હતાં અને ચાર ઘાયલ થયા હતાં. મૃતકોમાં બે બાળકો પણ સામેલ હતાં.
‘મજૂરોની સામૂહિક હિજરત તત્કાળ રોકો’
સામૂહિક હિજરતીઓને જ્યાં છે ત્યાં જ રોકવા અને તેમને તાત્કાલિક ભોજન, દવા અને કપડાં પૂરા પાડવા કેન્દ્રનાં ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યોનાં મુખ્ય પ્રધાનો સાથે વાતચીત કરી હતી. કેન્દ્રનાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મજૂરોનું પલાયન રોકવા આદેશ આપ્યા હતા.
૧૪ દિવસ ફરજિયાત સરકારી કોરોન્ટાઈન
સામૂહિક હિજરતથી દિલ્હી સહિત દેશમાં લોકડાઉનના આદેશનું છડેચોક ઉલ્લંઘન થતાં લાખો હિજરતીઓને સરકારી જગ્યાઓમાં ૧૪ દિવસના એકાંતવાસમાં રાખવાના આદેશ આપ્યા છે.