નવી દિલ્હીઃ ૧૭મી લોકસભામાં ભાજપના નેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાયબ નેતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હશે. રાજનાથ મોદીના પહેલા કાર્યકાળમાં પણ લોકસભામાં ભાજપના નાયબ નેતા હતા. જ્યારે રાજ્યસભામાં અરુણ જેટલીના સ્થાને થાવરચંદ ગેહલોતને ગૃહના નેતા નિયુક્ત કર્યાં છે. જોકે રેલવે, વાણિજ્ય તથા ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલને નાયબ નેતા બનાવાયા છે. ભાજપ સંસદીય પક્ષ કાર્યાલયે કાર્યકારિણીની યાદી જારી કરી હતી. તેમાં ગૃહ પ્રધાન અમિત શાહનું નામ મોદી પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બીજા ક્રમે રખાયું છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીને ભાજપની સંસદીય પક્ષની કાર્યકારી સમિતિમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સામેલ કરાયાં હતાં.