નવી દિલ્હીઃ ડયૂક અને ડચેઝ ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમ્સ અને તેમની પત્ની કેટ મડિલટન ૧૦મી માર્ચે પહેલી વખત ભારત પ્રવાસે આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ એપ્રિલના રોજ પ્રિન્સ વિલિયમ્સ અને કેટ મિડલટન માટે લંચનું આયોજન કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું કે, બ્રિટનનું શાહી દંપતી ૧૦ એપ્રિલે મુંબઈ પહોંચી જશે. અમે ડયૂક અને ડચેઝની પહેલી ભારત યાત્રા પર તેમને આવકારવા માટે ઉત્સુક છીએ. બ્રિટનના શાહી પરિવાર સાથેના સંબંધો ભારત અને બ્રિટનના સંબંધો માટે ખૂબ જ મહત્ત્વના છે. વડા પ્રધાને આ શાહી દંપતીને લંચ માટે આવકાર્યું છે.
હસ્તીઓની હાજરી
બ્રિટિશ હાઈકમિશનના જણાવ્યા પ્રમાણે ૧૦મી માર્ચે ડયૂક અને ડચેઝનું ભારત આગમન થશે ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સ્વાગતમાં શાહરુખ ખાન, આમિર, ઐશ્વર્યા અને સચિન તેંડુલકર હાજરી આપશે. બ્રિટિશ હાઈકમિનર, બ્રિટિશ એશિયન ટ્રસ્ટ અને તાજ મહાલ હોટેલ દ્વારા ચેરિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ૨૦૦થી વધારે સેલેબ્સ હાજરી આપવાના છે.
તાજ જોવા નહીં જઈ શકે
બ્રિટિશ શાહી પરિવાર તાજ જોવા માટે ભારત આવી રહ્યો છે. રાત્રીના સમયે તાજને જોવાની તેમની ઈચ્છા અધૂરી રહી જશે. આ વખતે ૨૧ એપ્રિલના રોજ પૂર્ણિમા છે. શાહી પરિવાર ૧૬ એપ્રિલના રોજ તાજની મુલાકાતે જવાનો છે. જોકે તેઓ બે વખત તાજની મુલાકાત લેવાના છે.