નવી દિલ્હી: દેશમાં સૌથી લાંબો સમય શાસન કરનાર વડાપ્રધાન તરીકેનો વિક્રમ નોંધાવનાર નરેન્દ્ર મોદીના નામે એક બીજો પણ વિક્રમ નોંધાયેલો છે. તેમણે 2014 થી 2026 દરમિયાન વિશ્વના વિવિધ દેશોના 19 સંસદ ગૃહને સંબોધિત કર્યા છે. આ કોઈપણ ભારતીય વડાપ્રધાન દ્વારા કરાયેલા સૌથી વધુ સંસદ સંબોધન છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ અગાઉના કોઇપણ ભારતીય વડાપ્રધાન કરતાં સૌથી વધુ વિદેશી સાંસદોને સંબોધિત કર્યા છે. ભાજપે આને ભારતની વધતી જતી વૈશ્વિક શક્તિ, રાજદ્વારી પ્રભાવ અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો પુરાવો ગણાવ્યો હતો.
ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે વડાપ્રદાન મોદીએ યુએસ કોંગ્રેસથી લઈને ઇઝરાયલી સંસદ નેસેટ સુધી સંબોધન કર્યું છે. પક્ષના મતે, આ સિદ્ધિ દર્શાવે છે કે ભારતનો અવાજ વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બન્યો છે. આંકડા મુજબ, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેમના કાર્યકાળ દરમિયાન ત્રણ વિદેશી સંસદ ગૃહને સંબોધિત કર્યા હતા. ઇન્દિરા ગાંધીએ ચાર, મનમોહન સિંહે સાત, જ્યારે રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયીએ બે-બે સંબોધન કર્યા હતા.
વડાપ્રધાન બન્યાના થોડા સમય પછી, નરેન્દ્ર મોદીએ 2014ના એક જ વર્ષમાં ઓસ્ટ્રેલિયા, ફીજી, નેપાળ અને ભૂટાનની સંસદ ગૃહને સંબોધિત કર્યા હતા. ત્યારબાદ, 2015 માં તેમણે મોરેશિયસની નેશનલ એસેમ્બલી, શ્રીલંકાની સંસદ, મોંગોલિયાની સંસદ અને બ્રિટનની પાર્લામેન્ટને સંબોધિત કરી હતી. ડિસેમ્બર 2015માં, વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનની સંસદને સંબોધિત કરી, પછી જૂન 2016 માં, તેમણે પહેલી વાર યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું, જે તેમના સૌથી પ્રખ્યાત વિદેશી ભાષણોમાંનું એક માનવામાં આવે છે. ત્યારબાદ તેમણે 2018 માં યુગાન્ડાની સંસદને અને 2019 માં માલદીવની સંસદને સંબોધિત કરી હતી.
2023માં, મોદીએ બીજી વાર યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારત લોકશાહીની માતા છે અને લોકશાહી ચર્ચા, સંવાદ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે છે. 2024માં, મોદીએ ગુયાનાની સંસદને સંબોધિત કરી તો જુલાઈ 2025માં તેમણે ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો અને નામિબિયાની સંસદને સંબોધિત કરી હતી. ત્યારબાદ તેમણે ઇથોપિયાની સંસદને સંબોધિત કરી હતી. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ઇઝરાયલી સંસદ નેસેટને સંબોધિત કર્યું.
ભાષણ દરમિયાન, તેમણે 7 ઓક્ટોબર 2023 ના રોજ હમાસના હુમલાનો ઉલ્લેખ કર્યો અને માર્યા ગયેલા ઇઝરાયલી નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમને ઇઝરાયલી સંસદના સર્વોચ્ચ સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2026 સુધીમાં, વડાપ્રધાન મોદીએ 79 દેશોની 99 વિદેશ મુલાકાતો કરી છે. વિદેશી સંસદોમાં તેમના ભાષણો ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકા અને આંતરરાષ્ટ્રીય પ્રભાવને દર્શાવે છે.


