નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે તબક્કાવાર મતદાન યોજાઇ રહ્યા છે, પરંતુ લોકમુખે એક પ્રશ્ન જૈસે થે છે. ચોથી જૂને પરિણામો જાહેર થશે ત્યારે દેશમાં આશ્ચર્યચકિત કરતી સત્તાવિરોધી લહેર જોવા મળશે કે નહીં મળે? સીએસડીએસ-લોકનીતિ 2024 પ્રી-પોલ સર્વે જોકે કોઇ મોટી ઊથલપાથલની સંભાવના નકારે છે. આ સર્વેમાં 34 ટકા જવાબ આપનારાઓ જણાવે છે કે જો ચૂંટણી આજે જ યોજાઈ જશે તો તેઓ કોંગ્રેસ અને તેના સહયોગી દળોને ચૂંટશે જ્યારે 46 ટકા લોકોએ એનડીએ પર પોતાની પસંદગી ઢોળી હતી.
વ્યક્તિગત રૂપથી જોઈએ તો ભાજપને 40 ટકા લોકોનું સમર્થન પ્રાપ્ત થયું છે જયારે 21 ટકા લોકોએ કોંગ્રેસને પસંદ કરી હતી. આમ વડાપ્રધાન કાર્યાલયના સુકાની બદલાય તેવી સંભાવના ઘણી ઓછી દેખાઈ રહી છે. વડાપ્રધાન તરીકે વ્યક્તિની પસંદગીના મોરચે નરેન્દ્ર મોદી અન્ય કોઈ પણ નેતાની તુલનામાં અત્યંત મહત્વપુર્ણ લીડ મેળવી રહ્યા છે.
68 ટકાની પસંદ નરેન્દ્ર મોદી
સર્વેના ઊત્તરદાતાઓમાંથી 68 ટકા લોકોએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પર જળવાઇ રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધી 27 ટકા સમર્થન સાથે બીજા ક્રમે હતા જ્યારે હાલમાં જેલમાં કેદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી તથા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને ફક્ત ત્રણ ટકા સમર્થન હાંસલ થયું હતું.
19 રાજ્યના 400 મતદાન કેન્દ્રો પર સર્વે
આ સર્વેક્ષણ આજના સામાન્ય મુડને પ્રતિબિંબિત કરે છે એમ કહી શકાય. વાસ્તવમાં સાત તબક્કાની લોકસભા ચૂંટણી દરમિયાન લોકોની પસંદગી અને મૂડ બદલાઇ શકે છે. સીએસડીએસ-લોકનીતિ પ્રી-પોલ સર્વે 2024માં દેશના 19 રાજ્યોના 10019 વ્યક્તિઓની પ્રતિક્રિયાઓ મેળવવામાં આવી હતી. આ સર્વેક્ષણમાં 100 સંસદીય ક્ષેત્રના 100 વિધાનસભા ક્ષેત્રમાં પ્રસરેલાં 400 મતદાન કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વેમાં જે તથ્ય સામે આવ્યા છે તેમાં ચૂંટણીના
તબક્કા પૂરા થતાં જશે તેમ તેમ પરિવર્તન આવી શકે છે.