નવી દિલ્હીઃ ભારતની ટોચની અવકાશ સંશોધન સંસ્થાન ‘ઇસરો’માં અનુભવી વૈજ્ઞાનિકોના રાજીનામાની હારમાળાએ ખળભળાટ સર્જ્યો છે. એક રિપોર્ટ મુજબ, છેલ્લા એક જ વર્ષમાં 100થી 120 વૈજ્ઞાનિકોએ ‘ઇસરો’ છોડી પ્રાઇવેટ કંપનીઓનો રસ્તો પકડ્યો છે. રાજીનામું આપનારા વૈજ્ઞાનિકોમાં ખૂબ જ મહત્ત્વના પ્રોજેક્ટ્સના ડાયરેક્ટર્સનો પણ સમાવેશ થાય છે. સરકાર પણ આ અહેવાલ બાદ સફાળી જાગી છે, અને રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સને થતું નુકસાન રોકવા હવે વૈજ્ઞાનિકોના રાજીનામાને સરળતાથી મંજૂરી ન આપવાનો આદેશ કર્યો છે.
ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)માંથી તાજેતરમાં રાજીનામું આપનારામાં ગગનયાન અને ચંદ્રયાન-3 જેવા ભારતના મહત્વાકાંક્ષી મિશન્સના પ્રોજેક્ટ ડાયરેક્ટર્સ અને મેનેજર્સ પણ સામેલ છે.
સરકારનું માનવું છે કે આ રીતે અચાનક ચાલુ મિશને વૈજ્ઞાનિકોના જવાથી રાષ્ટ્રીય સ્તરના પ્રોજેક્ટ્સને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે સ્પેસ ડિપાર્ટમેન્ટે 14 જુલાઈએ એક આંતરિક પરિપત્ર જાહેર કરીને વિવિધ સેન્ટર્સના ડાયરેક્ટર્સને કડક આદેશ આપ્યો છે કે, જ્યાં સુધી સંબંધિત સ્પેસ મિશન સંપૂર્ણ પૂરું ન થઈ જાય ત્યાં સુધી તેઓ કોઈ પણ વૈજ્ઞાનિકનું રાજીનામું સ્વીકારી શકશે નહીં. ડાયરેક્ટર્સે આવા દરેક કિસ્સાને પોતાની ભલામણો સાથે અંતિમ નિર્ણય માટે સીધા હેડ ક્વાર્ટર મોકલવાના રહેશે. જોકે, ‘ઈસરો’ના વડા વી. નારાયણને આને એક સામાન્ય વહીવટી પ્રક્રિયા ગણાવતા કહ્યું હતું કે આનાથી પ્રોજેક્ટ્સને અચાનક થતા નુકસાનથી બચાવી શકાશે.
ભારત સરકારના સ્પેસ ડિપાર્ટમેન્ટે તો સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ વિકટ છે. 4,577 કર્મચારીઓ ધરાવતા અને ‘ઈસરો’ના સૌથી મોટા સેન્ટર વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)માંથી ગત નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 20 વૈજ્ઞાનિકે રાજીનામા આપ્યાં છે. જેમાં LVM-3 ના પ્રોજેક્ટ ડાયરેક્ટર વિક્ટર જોસેફ પણ સામેલ છે. આ જ રીતે 1,339 કર્મચારીઓ ધરાવતા યુ.આર. રાવ સેટેલાઇટ સેન્ટર (URSC)માંથી આશરે 80 જેટલા લોકોએ નોકરી છોડી છે. જેમાં મહત્ત્વાકાંક્ષી SpaDeX ના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ચંદ્રયાન-3 ના પ્રોજેક્ટ મેનેજર (સિમ્યુલેશન) આદિત્ય રલ્લાપલ્લીનો પણ સમાવેશ થાય છે.
વૈજ્ઞાનિકો શા માટે છોડી રહ્યાા છે ‘ઇસરો’?
ભારતમાં હાલ પ્રાઈવેટ સ્પેસ સેક્ટર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. નવી પ્રાઈવેટ સ્પેસ કંપનીઓમાં અનુભવી અને કુશળ વૈજ્ઞાનિકોની ભારે ડિમાન્ડ છે. આ ખાનગી કંપનીઓ વૈજ્ઞાનિકોને ‘ઈસરો’ કરતા ઘણું મોટું સેલરી પેકેજ આપી રહી છે. સાથે સાથે જ આ કંપનીઓ વિવિધ પ્રયોગો કરવા માટે પાણીની જેમ પૈસા વહાવે છે જેના કારણે વૈજ્ઞાનિકોને પ્રયોગ કરવા માટે ખૂબ જ મોટું ફલક મળે છે.


