વારાણસી: કેન્ટ સ્ટેશન પાસે આવેલા ફ્લાયઓવરનું બાંધકામ ચાલી રહ્યુ હતું ત્યારે મંગળવારે બે પિલ્લર અચાનક તૂટી પડતાં આ ઘટનામાં ૧૮થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. આશરે ૫૦થી વધુ લોકો કાટમાળમાં દબાઈ ગયા હતા.
૬ કાર અને એક બસ
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આશરે ૬ કાર અને એક બસ કાટમાળમાં દટાઈ ગઈ હતી. વારાણસીનો આ વિસ્તાર અત્યંત ભીડવાળો હોય છે. અહીં આ ઘટના બનાવાના કારણે તંત્ર પર અનેક સવાલો ઊઠી રહ્યાં છે. આ ફ્લાયઓવરનું બાંધકામ ૨૦૧૬થી શરૂ કરાયું હતું. ઉત્તર પ્રદેશના પોલીસ ડીજીપી ઓપી સિંહે કહ્યું કે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અકસ્માતમાં બચાવ માટે તુરંત રવાના કરાઈ હતી.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે શોક પ્રગટ કરવામાં આવ્યો છે.