નવી દિલ્હી: ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા અને હીરાના વેપારી નીરવ મોદી દેશની ટોચની મોટી બેન્કોને હજારો કરોડ રૂપિયાનો ચૂનો ચોપડીને વિદેશ ભાગી ગયા હતા. જોકે, ભારત સરકારના પ્રયાસોને કારણે હાલ બન્ને ભાગેડુ આરોપી વિદેશની જેલમાં બંધ છે અને ભારતીય એજન્સીઓએ આ આરોપીઓની સંપત્તિ વેચીને મોટી રકમની રિકવરી કરી છે. આ બંને આરોપીઓનો મુદ્દો સંસદમાં ઉઠાવાયો હતો અને રિકવરી વિશે સવાલ પુછાયો હતો. જવાબમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં વિસ્તારપૂર્વક તેનો જવાબ આપ્યો હતો.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે વિજય માલ્યા અને નીરવ મોદી પાસેથી ભારતીય એજન્સીઓ રકમ રિકવર કરી રહી છે, અને તેના હેઠળ અત્યાર સુધીમાં તેમની પાસેથી ૧૩,૧૦૯ કરોડ રૂપિયાની રકમ વસૂલી લેવામાં આવી છે. આ રકમ આરોપીઓની સંપત્તિ વેચીને એકઠી કરવામાં આવી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) તરફથી જુલાઈમાં આ બેન્કો તરફથી જાણકારી આપવામાં આવી હતી, જેમના નાણાં બન્ને ભાગેડુઓએ પરત ચૂકવ્યા નહોતા. નાણાપ્રધાને ગૃહને આશ્વાસન આપ્યું હતું કે ઇડી સહિત ઘણી એજન્સીઓ આ કેસમાં કાર્યરત છે અને બન્ને વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે.