નવી દિલ્હીઃ વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ વધુ રૂ. ૫૨,૭૫૦ કરોડના દાનની જાહેરાત કરી છે. તે સાથે જ વિપ્રોના ચેરમેને અત્યાર સુધીમાં કુલ રૂ. ૧.૪૫ લાખ કરોડનું દાન આપ્યું છે. આટલો માતબર હિસ્સો દાનમાં આપનારા પ્રેમજી પ્રથમ ભારતીય બિઝનેસમેન હોવાનો દાવો થયો હતો. વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ રૂ.૫૨,૭૫૦ કરોડનું દાન આપવાની જાહેરાત ૧૪મી માર્ચે કરી છે. તેમના અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના દાનમાંથી આ વિવિધ સામાજિક કાર્યો કરવાના અહેવાલ છે. તેમણે તેમના હિસ્સાની ૩૪ ટકા રકમ દાન આપી તે સાથે વિપ્રોમાંથી તેમણે દાનમાં આપેલી સંપત્તિનો હિસ્સો ૬૭ ટકા થવા જાય છે.
આટલો માતબર હિસ્સો દાનમાં આપ્યો હોય એવા અઝીમ પ્રેમજી પ્રથમ ભારતીય બિઝનેસમેન હોવાનો દાવો કરાયો હતો. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન તરફથી છેલ્લાં પાંચ વર્ષમાં ૧૫૦ સ્વૈચ્છિક સંસ્થાઓને આર્થિક સહાય મળી હતી. દેશભરના વિવિધ રાજ્યોની સંસ્થાઓને આ ફાઉન્ડેશને આર્થિક સહયોગ આપ્યો હતો.
પબ્લિક સ્કૂલની સિસ્ટમ બહેતર બનાવવાથી લઈને નવા સંશોધનો માટે પ્રોત્સાહક વાતાવરણ બનાવવા સુધીનું કામ આ ફાઉન્ડેશનના માધ્મયથી થતું હોવાનું ફાઉન્ડેશને જારી કરેલાં એક નિવેદનમાં કહેવાયું હતું. ઉત્તરાખંડ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, પુડુચેરી, તેલંગણા, મધ્ય પ્રદેશ સહિતના કેટલાય રાજ્યોમાં તેમની સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થાય છે અને એમાં અઝીમ પ્રેમજીએ આપેલા દાનની રકમનો ઉપયોગ થાય છે.