વિરામ બાદ સરહદે પાકિસ્તાનનો પુનઃ તોપમારો

Wednesday 06th March 2019 07:09 EST
 

નવી દિલ્હીઃ પાકિસ્તાન સૈન્યએ સોમવારે શસ્ત્ર વિરામનો ભંગ કર્યો હતો. સરહદી ગામડાઓમાં તોપમારો કર્યો હતો, ખાસ કરીને અખનૂર સેક્ટરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આશરે ત્રણ કલાક સુધી આ ગોળીબાર ચાલ્યો હતો તેમ સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું.
પહેલીએ રાતથી પાકિસ્તાન સૈન્યએ ગોળીબાર બંધ કર્યો હતો. જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં થોડી રાહત હતી. આ સ્થિતિ વચ્ચે સોમવારે ફરી પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. અને અગાઉની જેમ ફરી સરહદી ગામડાઓને જ ટાર્ગેટ કર્યાં હતાં.
અગાઉ કરેલા ગોળીબારમાં એક નવ માસની બાળકી અને પાંચ વર્ષના બાળક તેમજ બન્નેની માતાનું પણ મોત નિપજ્યું હતું. એક જ પરિવારના ત્રણ લોકો માર્યા ગયા હતા. જ્યારે પાંચ જેટલા ઘવાયા હતા.
સરહદમાં પાંચ કિમી અંદર આવેલી શાળા કોલેજોને બંધ કરી દેવામાં આવી હતી. સોમવારે શાળાઓ ખૂલે તે પહેલા જ પાકિસ્તાન સૈન્ય દ્વારા ગોળીબાર શરૂ થઇ ગયો હતો. સરહદે ભારે તંગદીલી વચ્ચે સૈન્ય વડા બિપિન રાવતે બીજીએ જમ્મુની મુલાકાત લીધી હતી.
પાકિસ્તાન સૈન્ય સરહદે સતત ગોળીબાર કરી રહ્યું છે. તે સમયે તે મોર્ટાર શેલ પણ છોડી રહ્યું છે, જોકે કેટલાક મોર્ટાર શેલ હજુ પણ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે મળી રહ્યા છે. સોમવારે પણ આવા જ જીવતા મોર્ટાર શેલ મળી આવતા સ્થાનિકોને સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી હતી.
૫ જવાન શહીદ
ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડાના લંગેટના બાબગુંડ ગામમાં સુરક્ષા દળો અને આંતકીઓ વચ્ચે પહેલીએ અથડામણ થઈ હતી જેમાં સુરક્ષા દળોના ૫ જવાન શહીદ થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter