લંડન
1970ના દાયકામાં યુદ્ધના કારણે પલાયન કરી રહેલા નિરાશ્રિતો મધ્યે નોંધપાત્ર મેડિકલ સેવાઓ આપનારા ડો. દિલિપ મહાલાનબિસનું ગયા મહિને 87 વર્ષની વયે નિધન થયું. તેમણે આ માનવ ત્રાસદિ દરમિયાન ગ્લુકોઝ, મીઠું અને પાણીની મદદથી એક એવું સોલ્યુશન તૈયાર કરી એવી રિહાઇડ્રેશન થેરાપી વિકસાવી હતી જેના દ્વારા છેલ્લા 50 વર્ષમાં 5 કરોડ 40 લાખ માનવજીવન બચાવવામાં મદદ મળી હતી.
ડો. મહાલાનબિસનો જન્મ હાલ બાંગ્લાદેશ અને તત્કાલિન ઇસ્ટ બેંગાલમાં ઇ.સ. 1934માં થયો હતો. તેમણે કોલકાતામાં મેડિકલનો અભ્યાસ પૂરો કર્યો અને લંડનમાં ઘણા વર્ષો સુધી એનએચએસમાં સેવાઓ આપી. 1966માં તેઓ કોલકાતા પાછા ફર્યા અને જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી ખાતે ઓરલ રિહાઇડ્રેશન થેરાપી પર સંશોધન શરૂ કર્યું હતું.
1971માં બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે હજારો શરણાર્થીઓ ભારતની સરહદમાં પ્રવેશી રહ્યાં હતાં. નિરાશ્રિતોની છાવણીઓમાં કોલેરા સહિતના ચેપી રોગો ફાટી નીકળ્યાં હતાં તેથી ડો. મહાલાનબિસે તેમની થેરાપીનો ઉપયોગ શરૂ કર્યો હતો. પરિવારજન પણ ઉપયોગ કરી શકે તેવી આ થેરાપી અસરકારક પૂરવાર થઇ હતી. તેમણે ફક્ત આ થેરાપીની શોધ જ કરી નહોતી પરંતુ ગંભીર કોલેરાની સારવાર માટેની પહેલી ક્લિનિકલ ટ્રાયલમાં પણ મહત્વની ભુમિકા નિભાવી હતી.