ચોથી ડિસેમ્બરે કેન્દ્રના આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડાએ કેન્સર માટેના એક રિપોર્ટ વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં જેટલા પણ કેન્સરના દર્દીઓ છે તેમાં ભારતનો હિસ્સો ૭.૫ ટકા છે એટલે કે દર ૧૩મો નવો કેન્સરનો દર્દી ભારતીય છે. લોકસભામાં કેન્સરના દર્દીઓના આંકડા વિશેની જાણકારી આપતાં નડ્ડાએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૨માં સમગ્ર વિશ્વના કુલ ૧૪૦૬૭૮૯૪ દર્દીઓ પૈકી ૧૦૫૭૨૦૪ દર્દીઓ ભારતના હતા. ભારતમાં કેન્સર ફેલાવાના કારણો દર્શાવતાં તેમણે જણાવ્યું હતું કે, દેશમાં વૃદ્ધોની સંખ્યા ખૂબ વધારે છે અને તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેઓ સરેરાશ ઝડપથી કેન્સરના ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત ભારતીય લોકોની જીવનપદ્ધતિ બિનઆરોગ્યપ્રદ છે. તમાકુનું સેવન અને બિન આરોગ્યપ્રદ ભોજનના કારણે પણ લોકો કેન્સરના ભોગ બની રહ્યા છે.