અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર વિવાદ અંગે હવે દેશમાં દરેકને સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ છે. આ ચુકાદો હવે ગમે ત્યારે આવી શકે છે. હાલ સાંપ્રદાયિક સદભાવને ધ્યાનમાં રાખીને વિહિપ એ રામમંદિર માટે પથ્થરો તોડવાનું અને કોતરણીકામ બંધ કરી દીધું છે. ૧૯૯૦ પછી પહેલીવાર વિહિપે આ કામ રોક્યું છે. આ કામ રામ મંદિર આંદોલન વખતે શરૂ થયું હતું. જેને કાર સેવા નામ અપાયું હતું. વિહિંપના પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું કે, તમામ કારીગરોને પાછા ઘરે મોકલી દેવાયા છે. વિહિંપના કહેવા પ્રમાણે, અત્યાર સુધી ૧.૨૫ લાખ ક્યુબિક મીટર પથ્થરો પર કોતરણી કરાઈ છે. આ મંદિરના પહેલા માળ માટે પૂરતાં છે. બીજા માળ માટે ૧.૭૫ ક્યુબિક ફૂટ પથ્થરની જરૂર પડશે. વિહિપના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંપત રાયે કહ્યું કે, કોર્ટનો ચુકાદો કોઈપણ પક્ષમાં આવે, આપણે સ્વીકારવો પડશે. લોકોએ કોઈ જ પ્રકારની ઉજવણી કે ટિપ્પણીઓ ના કરવી જોઈએ.