• જન્મઃ વેન્કૈયા નાયડુનું પૂરું નામ મુપ્પવરપુ વેન્કૈયા નાયડુ છે. તેમનો જન્મ ૧ જુલાઈ ૧૯૪૯ના રોજ આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના ચાવટપલેમ વિસ્તારમાં થયો હતો.
• શિક્ષણઃ નેલ્લોરથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. રાજનીતિ અને રાજકીય શિક્ષણમાં ગ્રેજ્યુએશન કર્યું. આંધ્ર યુનિવર્સિટી-વિશાખાપટ્ટનમથી કાયદામાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી.
• દક્ષિણના ચર્ચિત નેતાઃ આંધ્ર પ્રદેશના નાયડુ દક્ષિણ ભારતમાં ભાજપનો આગળ પડતો ચહેરો રહ્યાં છે. દક્ષિણ ભારતમાં ભાજપને મજબૂત બનાવવામાં તેમણે ખૂબ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.
નાયડુની ઓળખ હંમેશાં એક આંદોલનકારી નેતા તરીકે રહી છે. તેઓ ૧૯૭૨માં ‘જય આંધ્ર આંદોલન’ દરમિયાન પહેલી વાર સમાચારોમાં છવાયા હતા. આ દરમિયાન તેમણે નેલ્લોર આંદોલનમાં સક્રિય ભાગ લઈ વિજયવાડાથી આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. ભાજપના અધ્યક્ષ રહ્યાં હતાં. નાયડુ ૨૦૦૨માં તેઓ પહેલી વાર ભાજના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. તેઓ ડિસેમ્બર ૨૦૦૨ સુધી અધ્યક્ષ રહ્યા. ત્યારબાદ ૨૦૦૪માં તેઓ બીજી વખત અધ્યક્ષ બન્યા. એપ્રિલ ૨૦૦૫ પછીથી તેઓને ભાજપના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા હતા.
વેન્કૈયા નાયડુ આંધ્ર પ્રદેશના વિદ્યાર્થી સંગઠન સમિતિના કો-ઓર્ડિનેટર રહ્યા છે. જય પ્રકાશ નારાયણથી પ્રભાવિત થઈને ઇમરજન્સી સંઘર્ષમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૭૪માં તેઓ આંધ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી યુનિયનના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
ભાજપના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી ચૂકેલા નાયડુએ સંગઠન અને સરકારમાં કેટલીય મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. ૧૯૭૭થી ૧૯૮૦ સુધી તેઓ જનતા પાર્ટીના યુવા શાખાના અધ્યક્ષ રહ્યાં હતા. ૧૯૭૮માં તેઓ પહેલીવાર નેલ્લોર જિલ્લાના ઉદયગીરી વિધાનસભા ક્ષેત્રમાંથી વિધાનસભ્ય ચૂંટાયા હતા.
• ૧૯૮૦થી ૧૯૮૩ની વચ્ચે રાષ્ટ્રીય ભાજપ યુથ વિંગના ઉપાધ્યક્ષ
• ૧૯૮૦થી ૧૯૮૫ સુધી આંધ્ર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા
• ૧૯૮૮થી ૧૯૯૩ દરમિયાન આંધ્ર પ્રદેશ ભાજપના અધ્યક્ષ
• ૧૯૯૩થી ૨૦૦૦ સુધી નાયડુ ભાજપના જનરલ સેક્રેટરી રહ્યા
• ૧૯૯૮માં પહેલી વાર રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા
• ૨૦૦૪, ૨૦૧૦ અને ૨૦૧૬માં પણ રાજ્યસભા માટે ચૂંટાયા
• ૨૦૦૬ પછી ભાજપ સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી પંચના સભ્ય પદે વરણી
• ૨૦૧૬માં રાજસ્થાનમાંથી રાજ્યસભા પહોંચ્યા હતા.