નવી દિલ્હીઃ દિલ્હીના શાહીનબાગમાં સીએએ વિરુદ્ધ એક મહિનાથી વધુ સમયથી ચાલતા દેખાવોમાં ૧લી ફેબ્રુઆરીએ પણ દલ્લુપુરા ગામના રહેવાસી કપિલ ગુજ્જરે બહાર આવી ત્રણ ગોળીઓ છોડી હતી. તેનાથી કોઇ જાનહાનિ થઈ નહોતી અને ગોળીબાર કરનારને પોલીસને હવાલે કર્યો હતો. જોકે પોલીસવાનમાં બેસતાં પહેલાં હુમલાખોરે કહ્યું કે, અમારા દેશમાં બીજા કોઇનું નહીં ચાલે, માત્ર હિન્દુઓનું જ ચાલશે. એ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દિલ્હીમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંબોધેલી સભામાં કહ્યું કે, દિલ્હીમાં સીએએ, એનઆરસી અને એનપીઆર તેમજ વિદ્યાર્થીઓ પર ગોળીબારના વિરોધમાં જે પ્રદર્શન ચાલી રહ્યા છે તેને કોઇ સંયોગ નહીં પણ પ્રયોગ છે. મોદીએ દાવો કર્યો હતો કે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે અને રાજ્યનો વિકાસ કરાશે.
સરકાર વાતચીત માટે તૈયાર
સીએએ સામે સતત વિરોધ અને એનડીએના સાથી પક્ષો જદયુ, અકાલી દળ અને લોજપે નારાજગી વ્યક્ત કરતા સરકાર શાહીનબાગના દેખાવકારો સાથે વાતચીત માટે તૈયાર થઇ ગઇ છે. સંસદનાં બંને ગૃહમાં સોમવારે સીએએ એનપીઆર મુદ્દે હોબાળો મચ્યો હતો અને ગૃહની કામગીરી ખોરવાઈ હતી. લોકસભા શરૂ થવાની સાથે જ વિપક્ષી નેતાઓ અને સાંસદોએ ગોલી મારના બંધ કરો... દેશ કો તોડના બંધ કરોના નારા લગાવ્યા હતા. શાહીનબાગ અને જામિયામાં જે રીતે ફાયરિંગની ઘટનાઓ બની હતી તે સંદર્ભમાં વિપક્ષી સાંસદોએ તેમનો આક્રોશ સંસદમાં વ્યક્ત કર્યો હતો. સે નો ટુ સીએએ... સેવ અવર ડેમોક્રસી... અને સેવ અવર કોન્સ્ટિટયૂશન...ના નારા લગાવવામાં આવ્યા હતા.