નવી દિલ્હીઃ નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દિલ્હીના શાહીનબાગમાં છેલ્લા બે મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા દેખાવકારો સામે સુપ્રીમ કોર્ટે સોમવારે રૌદ્ર સ્વરૂપ બતાવતાં કહ્યું કે, દેખાવોનાં બહાને દેખાવકારો જાહેર રસ્તા રોકી શકે નહીં અને સામાન્ય જનતા માટે મુશ્કેલીઓ કે અસુવિધા સર્જી શકે નહીં. જો તમારે વિરોધ કરવો હોય તો તેના માટે કેટલાક વિસ્તારો નક્કી કરેલા છે. શાહીનબાગમાં દેખાવો વખતે ૪ મહિનાનાં બાળકનાં મોત અંગે સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટિસ બોબડેનાં વડપણ હેઠળની બેન્ચે સખત વલણ અપનાવી કહ્યું કે, અમે મધરહૂડનું સન્માન કરીએ છીએ, પણ ૪ મહિનાનું બાળક જાતે વિરોધ પ્રદર્શન કરવા જઈ શકે ખરું? કોર્ટે આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ બજાવીને ૪ અઠવાડિયામાં જવાબ માગ્યો હતો.