નવી દિલ્હીઃ સીએએના વિરોધમાં છેલ્લા બે મહિનાથી વિરોધ પ્રદર્શન કરતા દિલ્હીના શાહીનબાગના દેખાવકારો સાથે વાતચીત કરવા સુપ્રીમ કોર્ટે સોમવારે ૩ સભ્યોની સમિતિ રચી હતી. સમિતિમાં વકીલ સંજય હેગડે, સાધના રામચંદ્રન અને પૂર્વ મુખ્ય માહિતી નિયામક વજાહત હબીબુલ્લાહનો સમાવેશ કરાયો છે. સંજય હેગડેએ વાતચીતમાં પૂર્વ જસ્ટિસ કુરિયન જોસેફને સાથે રાખવાની માગણી કરી હતી. વિષ્ટિકારો દેખાવકારોને અન્ય સ્થળે દેખાવો કરવા સમજાવશે. કોર્ટે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર, દિલ્હી પોલીસને શાહીનબાગ દેખાવકારો સાથે વાતચીત કરવા કહ્યું હતું. કોર્ટે કહ્યું કે લોકોને વિરોધ કરવાનો અધિકાર છે પણ રસ્તાઓ રોકી શકે નહીં. દેશમાં દરેક લોકો આ રીતે રસ્તાઓ રોકવા લાગે તે કેવી રીતે ચાલે?