લખનઉઃ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના સમતલીકરણનું કામ પૂર્ણ થયાના સાતમી જૂને અહેવાલ હતા. હવે મંદિર નિર્માણની શરૂઆત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા આવે તેની રાહ જોવાઇ રહી છે. ટ્રસ્ટ આ અંગે વિચારે છે કે, પહેલી જુલાઇએ દેવશ્ય એકાદશી પહેલાં ૨૯મી જૂને મોદી અયોધ્યાની મુલાકાત લે અને તેઓ મંદિર નિર્માણની શરૂઆત કરાવે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું છે કે, વડા પ્રધાન મોદીને આમંત્રણ પાઠવ્યું છે. ભૂમિપૂજન તેમના હસ્તે જ થશે. જોકે આગામી ચાર મહિના મંદિર નિર્માણ શરૂ નહીં થાય તેવો નિર્ણય પણ ટ્રસ્ટ દ્વારા લેવાયો હોવાનું જાણવા મળે છે. એની પાછળનું કારણ એ છે કે, સનાતન વ્યવસ્થા પ્રમાણે ચોમાસામાં શુભ કાર્ય કરવામાં આવતું નથી.