શ્રીરામ મંદિર શિલાન્યાસની તારીખ જાહેર થઇ છે ત્યારથી મુહૂર્તથી માંડીને તેના જીવંત પ્રસારણ સામે વાંધાવચકા રજૂ થઇ રહ્યા છે. જેમ કે,
• શંકરાચાર્ય સ્વરૂપાનંદજીના મતે મુહૂર્તનો સમય અશુભ
શિલાન્યાસના મુહૂર્તના સમય અંગે દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજે સવાલ કર્યા છે. તેમણે ભૂમિપૂજનના નિર્ધારિત સમયને અશુભ ઘડી ગણાવી માગ કરી છે કે મંદિરનિર્માણ માટે જનતાનો અભિપ્રાય લેવામાં આવે. આના જવાબમાં સંતોએ પડકાર ફેંક્યો છે કે સ્વરૂપાનંદ સરસ્વતી સાબિત કરી બતાવે કે ભાદરવો મહિનો અશુભ હોય છે. ભાદરવામાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. જે મહિનામાં દેવતા જન્મ લેતા હોય તે આખો મહિનો શુભ હોય છે.
કાશી વિદ્વત્ત પરિષદના સંયોજક ડો. રામનારાયણ દ્વિવેદીએ મુહૂર્ત સામે ઊઠી રહેલા સવાલો અંગે જણાવ્યું કે આ ભૂમિપૂજન સ્વયં ભગવાન રામનું છે અને શિલાન્યાસ સ્વયં દેશના રાજા કરી રહ્યા છે, જેથી મુહૂર્ત બહુ મહત્ત્વનું નથી. પ્રો. દ્વિવેદી કહે છે કે, ભારત ભૂમિનો આકાર વિશાળ છે. રાષ્ટ્રીય બાબતોમાં શુભ મુહૂર્તને સમગ્ર દેશના સંદર્ભમાં નક્કી કરવાનું સારું હોય છે. કાશી વિદ્વત પરિષદ દેશની ટોચની સંસ્થા તરીકે ઓળખાય છે, આથી શિલાન્યાસના શુભ મુહૂર્ત પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.
• સ્વરૂપાનંદજી મારી સાથે શાસ્ત્રાર્થ કરેઃ મહંત પરમહંસ દાસ
તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસે કહ્યું કે ભગવાન શ્રીરામનું માત્ર નામ લેવાથી જ તમામ અમંગળ નષ્ટ થઇ જાય છે. હું સ્વરૂપાનંદ સરસ્વતીને પડકાર ફેંકું છું કે તેઓ આ મામલે મારી સાથે શાસ્ત્રાર્થ કરે. તેઓ કોંગ્રેસના ઇશારે ભગવાન રામના મંદિરના નિર્માણમાં રોડાં નાખી રહ્યા છે. તેઓ હનુમાન ચાલીસાથી માંડીને ઋગ્વેદ સુધી શાસ્ત્રાર્થ કરે અને સાબિત કરે કે પાંચમી ઓગસ્ટે ભૂમિપૂજન કરવું અયોગ્ય છે.
રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે ભગવાન કૃષ્ણનો જન્મ ભાદરવામાં થયો હતો. આખો ભાદરવો મહિનો પવિત્ર હોય છે. આ મહિનામાં બધા જ ગ્રહ-નક્ષત્ર અનુકૂળ હોય છે. આ મહિનામાં કરાતું કોઇ પણ કાર્ય હાનિકારક ન કહી શકાય. વળી, મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે, જેમાં તેની આધારશિલા રખાય તે સમય જ શુભ ગણાય છે.
• અમારી ઉપેક્ષા શા માટે?ઃ નિર્વાણી અખાડા
એક તરફ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજનની તડામાર તૈયારી થઈ રહી છે, ત્યારે બીજી તરફ વિવાદો પણ શરૂ થયા છે. રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન ન મળતાં નિર્વાણી અખાડાએ વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)ને લીગલ નોટિસ પાઠવી છે. નિર્વાણી અખાડાના મહંત ધર્મદાસજીએ કહ્યું હતું કે રામ જન્મભૂમિ વિવાદ વખતે કાનૂની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવનારા અખાડાની અવગણના કરવામાં આવી છે. નિર્વાણી અખાડાએ પીએમઓને નોટિસ પાઠવીને દલીલ કરી છે કે રામ જન્મભૂમિ માટેનો જે કાયદાકીય વિવાદ ચાલતો હતો, એમાં નિર્વાણી અખાડાની પણ મહત્વની ભૂમિકા હતી. હવે જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ પછી રામ મંદિર ટ્રસ્ટનું ગઠન થયું છે ત્યારે એમાં નિર્વાણ અખાડાને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ.
અખાડાના મહંત ધર્મદાસજીએ અરજીમાં લખ્યું છે કે બે મહિનામાં તેમને રામ મંદિરના ટ્રસ્ટમાં યોગ્ય સ્થાન નહીં મળે તો કાયદાકીય કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ માટે જે પક્ષકારો હતા તેમાં નિર્વાણ અખાડાનો પણ સમાવેશ થતો હતો. ત્યારે જ નિર્વાણ અખાડાએ મંદિરના પૂજારીની ગાદી માટે દાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કેન્દ્ર સરકારે ૧૫ સભ્યોનું એક ટ્રસ્ટ બનાવ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નામના આ ટ્રસ્ટ પાસે રામમંદિર નિર્માણની જવાબદારી રહેશે અને ભવિષ્યમાં રામ મંદિરના સંચાલનની જવાબદારી પણ તેમની હશે. ટ્રસ્ટમાં પાંચ ધર્મગુરુઓનો સમાવેશ થયો છે.
• બાંગ્લાદેશને મંદિર નિર્માણ સામે વાંધો!
પાડોશી દેશ બાંગ્લાદેશે રામ મંદિરનો વિરોધ નોંધાવ્યો છે. બાંગ્લાદેશના વિદેશ પ્રધાન અબ્દુલ મોમેને એક નિવેદનમાં કહ્યું હતું કે ભારતે એવા કોઈ પગલાં ભરવા ન જોઈએ કે જેથી ભારત-બાંગ્લાદેશ વચ્ચેના ઐતિહાસિક સંબંધો પર અસર થાય. મોમેને ઉમેર્યું હતું કે ભારતે સમાજના બધા જ વર્ગોનું ધ્યાન રાખીને બંને દેશોના સંબંધો યથાવત્ રહે તે દિશામાં વિચારવું જોઈએ. જોકે, તેણે એવું પણ કહ્યું હતું કે ભારતમાં થતી ગતિવિધિની અસર રાજદ્વારી સંબંધોમાં થવા દેવાશે નહીં.
• ડાબેરીઓનો લાઇવ ટેલિકાસ્ટ સામે વિરોધ
પાંચમી ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન થશે. એ કાર્યક્રમનું દૂરદર્શન પર લાઈવ પ્રસારણ થશે. એ પ્રસારણનો ડાબેરી પક્ષ સીપીઆઈએ વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારને પત્ર લખીને સીપીઆઈએ કહ્યું હતું કે આ પ્રસારણથી દેશની બિનસાંપ્રદાયિક તરીકેની છબી ખરાબ થશે. રામ જન્મભૂમિ ટ્રસ્ટે સીપીઆઈના આ પત્ર અંગે વિરોધ નોંધાવીને કહ્યું હતું કે ધાર્મિક કાર્યક્રમના પ્રસારણ જેવા મુદ્દે ડાબેરી પક્ષોએ રાજકારણ બંધ કરવું જોઈએ.