• ચેન્નાઇમાં લોટરી કિંગને ત્યાં દરોડામાં રૂ. ૫૯૫ કરોડ મળ્યાઃ કોઈમ્બતુરના લોટરી કિંગ ગણાતા માર્ટીન સાનડિએગોના દેશવ્યાપી ૭૦ સ્થળોએ તાજેતરમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા જેમાં રૂ. ૫૯૫ કરોડની બિનહિસાબી રકમનો એણે સ્વીકાર કર્યો હતો.
• સબમરીન આઇએનએસ ‘વેલા’ તરતી મુકાઈઃ ભારતીય નૌકાકાફલામાં સામેલ થવા માટે સજ્જ થઇ ગયેલી સ્કોર્પિન કલાસની સબમરીન આઇએનએસ ‘વેલા’ સોમવારે વિધિવત તરતી મૂકવામાં આવી હતી. તમામ ટ્રાયલ અને પરીક્ષણોમાંથી પાર ઉતર્યા બાદ આ સબમરીન નૌકાદળના કાફલામાં સામેલ થશે.
• જમ્મુ-કાશ્મીરમાં ભાજપી નેતાની હત્યાઃ અનંતનાગમાં સોમવારે લોકસભાની સીટ પર અંતિમ તબક્કાનું મતદાન હતું. તે પહેલાં અનંતનાગ જિલ્લાનાં વાઇસ પ્રેસિડેન્ટ ગુલામ મોહમ્મદ મીર (ઉં પપ)ની પાંચમીએ રાત્રે અનંતનાગનાં નૌગામ વેરિનાગમાં આતંકીઓ દ્વારા ગોળીબાર કરીને હત્યા કરાઈ હતી.
• રોડ શોમાં કેજરીવાલને યુવકે થપ્પડ મારીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને રોડ શોમાં સુરેશ નામના ૩૩ વર્ષના યુવકે થપ્પડ મારી હતી. આપ સમર્થકોએ સુરેશને પકડી લીધો હતો અને પોલીસે યુવકની અટકાયત કરી હતી. મોતીનગર પોલીસ મથકમાં યુવકની પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલા જ ૪ એપ્રિલ ૨૦૧૪ના રોજ પણ એક યુવકે કેજરીવાલને થપ્પડ મારી હતી.
• આપના ધારાસભ્ય અનિલ બાજપાઈ ભાજપમાંઃ આમ આદમી પક્ષના ગાંધીનગર (દિલ્હી)ના ધારાસભ્ય અનિલ બાજપાઇ જાતે જ ભાજપમાં જોડાતાં દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના વડા અરવિંદ કેજરિવાલ સહિતના પક્ષના નેતાઓએ ભાજપ પાટલી બદલાવવાના દૂષણમાં સંડોવાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.
• બ્રજેશ ઠાકુરે ૧૧ યુવતીઓની હત્યા કરી હતીઃ સુપ્રીમ કોર્ટમાં સીબીઆઇએ એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું છે કે પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મુઝ્ફફરપુર શેલ્ટર હોમ કેસના મુખ્ય આરોપી બ્રજેશકુમાર ઠાકુર અને તેમના સહયોગીઓએ ૧૧ યુવતીઓની હત્યા કરી હતી. સીબીઆઇએ જણાવ્યું છે કે, બ્રજેશ અને તેના સાથીઓએ જમીનમાં દાટેલાં મૃતક કિશોરીઓનાં હાડકાં મળી આવ્યા છે.
• બુરહાન વાની ગેંગનો લતિફ અહેમદ પણ ઠારઃ કાશ્મીર ખીણના શોપિયામાં સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બુરહાન ગેંગનો છેલ્લો કમાન્ડર લતિફ અહેમદ ડાર ઊર્ફ લતીફ ટાઈગર પણ ૩જીએ માર્યો ગયો છે. લતિફની સાથે હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓ પણ માર્યા ગયા છે. લતિફના મોત સાથે ખીણ વિસ્તારમાંથી બુરહાન વાની ગેંગનો ખાતમો થઈ ગયો છે.