• ઓરિએન્ટલ ગ્રૂપનું રૂ. ૩,૦૦૦ કરોડનું કાળું નાણું ઝડપાયુંઃ આવકવેરા વિભાગના બીજી ડિસેમ્બરે પડેલા દરોડા પછી એનસીઆર સ્થિત રિયલ એસ્ટેટ ગ્રૂપે પોતાની પાસે રૂ. ૩,૦૦૦ કરોડની બેનામી આવક હોવાની કબૂલાત કરી છે. સીબીડીટી વિભાગ દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવાયું કે તાજેતરમાં આવકવેરા વિભાગે રિયલ એસ્ટેટ ગ્રૂપ પર દરોડા પાડયાં હતાં જેમાં કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. રિયલ એસ્ટેટ ગ્રૂપે રૂ. ૩,૦૦૦ કરોડની બેહિસાબી રકમનો સ્વીકાર કર્યો છે.
• ૨૦૨૪ પહેલા દેશમાં એનસીઆરનો અમલઃ ઝારખંડના ચક્રધરપુર તથા બાહરાગોડામાં સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી સભામાં કહ્યું કે, જ્યારે હું ૨૦૨૪માં તમારી પાસે મત માગવા આવીશ તે પહેલાં આખા દેશમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનનો અમલ કરી ઘૂસણખોરોને પકડી પકડીને દેશમાંથી કાઢી મૂકવાનું કામ કરશે.
• પંકજા મુંડેએ ટ્વિટર પ્રોફાઈલ પરથી ભાજપ શબ્દ હટાવ્યોઃ ભારતીય જનતા પાર્ટીની નેતા પંકજા મુંડેએ સોમવારનાં ટ્વિટર પર પોતાના બાયોમાંથી પોતાની પાર્ટીનું નામ હટાવી દીધું છે. મહારાષ્ટ્રમાં બદલાયલી રાજનીતિની પૃષ્ઠભૂમિમાં પંકજાએ પોતાની ભાવિ યાત્રાનાં સંબંધમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જેનાથી અટકળોનું બજાર ગરમ થઇ ગયું છે.
• ભારત જાપાન સંબંધોના વ્યાપક વિકાસના મહત્ત્વ પર ભારઃ જાપાનના વિદેશ પ્રધાન તોશી મીત્સુ મોતેગી અને સંરક્ષણ પ્રધાન તારો કોનોની ભારત મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતના જાપાન સાથેના સંબંધો હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા રહે તે માટે મહત્ત્વના છે. બેઠકમાં વડા પ્રધાને ભારત જાપાન સંબંધોના વ્યાપક વિકાસના મહત્ત્વ પર ભાર આપ્યો હતો. જેથી બંને દેશોના લોકોને લાભ થાય સાથે જ ક્ષેત્ર અને વિશ્વને પણ લાભ થાય.