સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Tuesday 05th May 2020 16:33 EDT
 

• પરપ્રાંતીય મજૂરો પાસેથી ટિકિટ ભાડું વસૂલવાનો વિવાદઃ કોરોના વાઈરસનો પ્રસાર અટકાવવા માટે જાહેર કરાયેલા લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતીય કામદારોને ઘરે પહોંચાડવા માટે રેલવે તરફથી ભાડાંની વસૂલાત અંગેના વિવાદ પર રાજકારણ શરૂ થઈ ગયું છે. રેલવેએ રવિવારે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરતાં રાજ્યોને મજૂરો પાસેથી ભાડું વસૂલવા ભલામણ કરાઈ હતી. જોકે, આ મુદ્દે સોનિયા ગાંધીએ મજૂરોનાં ભાંડાનો બોજ કોંગ્રેસ ઊપાડશે તેવી જાહેરાત પછી કેન્દ્ર સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ છે. આ મુદ્દે યુ-ટર્ન લેતાં સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે ભારત સરકારે ક્યારેય કામદારો પાસેથી ટ્રેનનું ભાડું વસૂલવા જણાવ્યું નથી. કામદારોને ઘરે પહોંચાડવા માટે ૮૫ ટકા ભાડું રેલવે અને ૧૫ ટકા ભાડું રાજ્ય સરકાર વહન કરે છે.
• ગિલગિટ અને બાલ્ટિસ્તાન અમારું છેઃ ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ સામે ભારતે આક્રોશ સાથે વિરોધ નોંધાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે ડિમાર્શ (લેખિત નોંધ) જારી કરીને જણાવ્યું છે કે સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદાખ ઉપરાંત ગિલગિટ-બાલ્ટિસ્તાન પણ ભારતનો અભિન્ન ભાગ છે. પાક.ની સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૮ના ગવર્નમેન્ટ ઓફ ગિલગિટ બાલ્ટિસ્તાન ઓર્ડરમાં સુધારા કરવા કરેલા આદેશ સામે વિરોધ નોંધાવતાં ભારતે ઉપરોક્ત પ્રતિક્રિયા આપી છે.
• આસામમાં આફ્રિકી સ્વાઇન ફ્લૂઃ કોરોના વાઇરસ સંકટ વચ્ચે દેશમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂનો પ્રથમ કિસ્સો રવિવારે આસામમાં સામે આવ્યો છે. આસામ સરકારે જણાવ્યું છે કે ત્યાંના સાત જિલ્લાના ૩૦૬ ગામમાં ૨૫૦૦ સૂવરનો આફ્રિકી સ્વાઇન ફ્લૂએ ભોગ લીધો છે. આસામના પશુપાલન પ્રધાન અતુલ વોરાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની મંજૂરી હોવા છતાં સૂવરોને ખતમ કરવાનું પગલું હાલમાં લેવાશે નહીં. આ સંક્રમણ બીમારીને રોકવા બીજા વિકલ્પો અજમાવાશે. તેમણે એમ પણ કહ્યું કે આફ્રિકન સ્વાઇન ફ્લૂને કોરોના સાથે કોઇ સંબંધ નથી. માનવી પર તેની કોઇ અસર નથી થતી.
• બેરોજગાર NRIએ કેરળ પરત ફરવા નોંધણી કરાવીઃ કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયને મીડિયાને કહ્યું છે કે ૪ દિવસમાં ૩ લાખથી વધુ એનઆરઆઇએ કેરળ પરત ફરવા રાજ્ય સરકારના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાંથી એક લાખે પાછા ફરવાનું કારણ નોકરી ગુમાવી હોવાનું જણાવ્યું છે. અન્ય લોકોએ વિઝા પૂરા થવા, જેલમુક્તિ, વાર્ષિક રજાઓ જેવાં કારણ આપ્યાં છે. રજિસ્ટ્રેશન કરાવનારાઓમાં ૯૫૬૧ બાળકો અને ૯૫૧૫ સગર્ભાઓ છે. રાજ્ય સરકારે મૂળ કેરળના હોય તેવા એનઆરઆઇ માટે અલગ વિભાગ બનાવ્યો છે, જેના પોર્ટલ પર એનઆરઆઇ પોતાનું રજિસ્ટ્રેશન કરાવે છે.
• દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ સામે દેશદ્રોહનો કેસ દાખલઃ દિલ્હી પોલીસની વિશેષ શાખાએ દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ઝફરૂલ ઇસ્લામ ખાન સામે દેશદ્રોહ કર્યો હોવાના આક્ષેપ સાથે કેસ દાખલ કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટ પર કહેવાતી ઉશ્કેરણીજનક ટિપ્પણી કર્યાના બે દિવસ પછી કેસ દાખલ થયો છે. સંયુક્ત પોલીસ કમિશર નીરજ ઠાકુરે જણાવ્યું હતું કે ખાન સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૪એ (દેશદ્રોહ ), ૧૫૩એ (સમાજના વિવિધ જૂથો વચ્ચે શત્રુતાનો વધારો કરવો) હેઠળ એફઆઇઆર દાખલ થઈ છે.
• ગઢચિરોલીમાં મહિલા નક્સલવાદી ઠારઃ ગઢચિરોલીના ગાઢ જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ખૂંખાર મહિલા નક્સલી સુજનક્કા ઉર્ફે જૈની ચૈત્ અકા (ઉં ૪૮) ઠાર થઈ હોવાના ૩જીએ અહેવાલ મળ્યા છે. પોલીસની નક્સલવાદી વિરોધી ઝુંબેશ હેઠળ અટાપલ્લી તાલુકાના સિનભટ્ટી જંગલમાં ગઈકાલે સી-૬૦ ફોર્સના જવાનો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે નક્સલીઓએ બેફામ ગોળીબાર કર્યો હતો. પોલીસની ટીમે જોરદાર પ્રત્યુત્તર આપતાં સામો ગોળીબાર કર્યો હતો આથી નક્સલવાદીઓ જંગલમાં નાસી છૂટ્યા હતા. ત્યારબાદ જંગલમાં તપાસ કરતાં માથાભારે મહિલા નક્સલવાદીની લાશ મળી હતી.
• ‘તબલીગીઓએ ઈરાદાપૂર્વક કોરોના ફેલાવ્યો’: દેશની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ અંગે ૩જી મેએ જણાવ્યું કે કોરોના વિરુદ્ધની લડાઈમાં આપણે અન્ય દેશોની સરખામણીમાં ઘણી સારી સ્થિતિમાં છીએ, પરંતુ આપણે હજી પણ સાવધ રહેવાની જરૂર છે. કોરોનાથી બચવા માટે અમે વ્યાપક યોજના બનાવી રહ્યા છીએ. યોગી આદિત્યનાથે લોકોને પૂજા-નમાજ ઘરમાંથી જ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું વર્તમાન સમયમાં લોકોના જીવન બચાવવા વધુ મહત્ત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં લોકોએ ધાર્મિક કાર્યો ઘરમાં રહીને જ કરવા જોઈએ. યોગીએ એવું પણ જણાવ્યું કે તબલીગીઓએ ઈરાદાપૂર્વક કોરોના ફેલાવ્યો હોઈ શકે છે. જો એવું હશે તો કડક પગલાં લેવાશે.
• જમ્મુ-કાશ્મીરમાં આત્માઘાતી હુમલા કરવાનું જૈશનું ષડયંત્રઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને નિશાન બનાવીને આગામી ૧૧મી મેના દિવસે સંખ્યાબંધ આત્મઘાતી હુમલા કરવાના જૈશ-એ-મોહમ્મદના કાવતરાનો પર્દાફાશ થયો છે. ગુપ્તચર અહેવાલ પ્રમાણે રમઝાનના ૧૭મા દિવસે બેટલ ઓફ બદ્ર થઈ હતી. એ દિવસ ૧૧મી મેએ આવતો હોવાથી એ દિવસ પસંદ થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter