રાજસ્થાનમાં ગેહલોત સરકાર ઊથલાવવાનો તખતોઃ રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણી સમયે પણ કોંગ્રેસની સરકાર ગમે તે ઘડીએ ભાંગશેના ભણકારા હતા ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાને કહ્યું હતું કે, રાજસ્થાનમાં કોંગ્રેસ પાસે સંપૂર્ણ બહુમતી છે. એ સમયે તેઓએ જયપુર ધસીને કહ્યું હતું કે, અમારા MLA કોઈ લોભમાં આવવાના નથી, જનમતનું ચીરહરણ કરવું એ ભાજપનો ચાલ-ચરિત્ર-ચહેરો છે, તો સામે રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પુનિયાએ કહ્યું હતું કે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર અસુરક્ષિત છે. આ સમયે રાજસ્થાનમાં કોંગી MLAને નજરકેદ કરવા પડયા હતા. હવે ફરી એક વાર સળવળાટ થયો છે કે, રાજસ્થાનમાં ગમે તે ઘડીએ કોંગ્રેસની સરકાર પડી ભાંગશે.
હિઝબુલ કમાન્ડર મસૂદ સહિત ત્રણ આતંકી ઠાર
દક્ષિણ કાશ્મીરના અંનતનાગ જિલ્લામાં સોમવારે સુરક્ષાદળોએ આંતકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા મસૂદ અહમદ ભટ સહિત ત્રણ આંતકીઓને ઠાર માર્યાં હતા. કાશ્મીરમાં આતંકનો ગઢ ગણાતા ત્રાલને આતંકમુક્ત કરાયા પછી ડોડા જિલ્લાને પણ આતંકમુક્ત જાહેર કરાયો હોવાનું જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે જણાવ્યું હતું.
૩ ખાલિસ્તાની સમર્થકની ધરપકડઃ દિલ્હી પોલીસે ઉત્તર ભારતનાં વિવિધ રાજ્યોમાં લોકોને ટાર્ગેટ બનાવીને હત્યાનું કાવતરું ઘડી રહેલા ૩ને ૨૭મીએ પકડ્યા હતા. દિલ્હીના મોહિન્દર પાલ સિંહ (ઉં. ૨૯), પંજાબના ગુરતેજ સિંહ (ઉં. ૪૧) અને હરિયાણાના લવપ્રીત સિંહ (ઉં. ૨૧) તરીકે તે ઓળખાયા છે. તેમની પાસેથી ૩ પિસ્તોલ, ૭ કારતૂસ અને ૩ મોબાઇલ મળ્યાં છે. મોબાઈલમાંથી ખાલિસ્તાન લિબરેશન ફોર્સ સંબંધિત વાંધાજનક વીડિયો અને તસવીરો મળી છે. તમોનાશ ઘોષ કોરોનામાં મૃત્યુ પામનારા બીજા ધારાસભ્યઃ મે મહિનામાં કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના વિધાનસભ્ય તમોનાશ ઘોષનું તાજેતરમાં મૃત્યુ થયું હતું.
ઘોષ પહેલાં ડીએમકેના જે. અનબાઝબેગાનનું મૃત્યુ થયું હતું.
ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર ૧૫ જુલાઈ સુધી રોક
સરકારે ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ પરની રોક ૧૫મી જુલાઇ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ૧૫ જુલાઇ સુધી ભારતથી કોઇ ઇન્ટરનેશનલ ફ્લાઇટ જશે નહીં કે ભારતમાં આવી શકશે નહીં. જોકે ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ જારી રહેશે. આ આદેશ કાર્ગો વિમાન અને ડીજીસીએ પાસેથી વિશેષ મંજૂરી લેનાર વિમાનો પર લાગુ થશે નહીં. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં ૨૫ માર્ચથી લોકડાઉન લાગુ કરાયાના બે દિવસ પહેલાં ૨૩ માર્ચથી દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંધ લાદી દેવાયો હતો.
રૂ. ૭૮૭ કરોડનાં બેંક ફ્રોડમાં રતુલ પુરીની મિલકતો પર દરોડાઃ મોઝર બેઅર સોલાર લિ. સાથે સંકળાયેલા રૂ. ૭૮૭ કરોડના બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈએ ૨૬મી જૂને વેપારી રતુલ પુરી અને તેના પિતા દીપક પુરીની ઓફિસ - રહેઠાણ સહિત સાત જગ્યાએ દરોડા પાડ્યા હતા. ૨૬મીએ સવારથી શરૂ કરેલી તપાસ છેક રાત સુધી ચાલી હતી. ઉલ્લેખનીય છે કે રતુલ પુરી મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથનો ભાણેજ છે. રતુલ પુરીની કંપનીને પંજાબ નેશનલ બેંકે આપેલી રૂ. ૭૮૭ કરોડની લોન ભરપાઈમાં નિષ્ફળ જતાં સીબીઆઈએ છેતરપિંડીનો કેસ કર્યો હતો.
યસ બેંકના રાણા કપૂર સામે ચાર્જશીટઃ ડીએચએફએલના પ્રમોટર કપિલ વાધવાન પાસેથી રૂ. ૬૦૦ કરોડની લાંચ લેવા સંદર્ભે સીબીઆઈએ યસ બેંકના સ્થાપક રાણા કપૂર, તેનાં પત્ની બિંદુ અને પુત્રી રોશિની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.